આઇપીએલમાં ખિતાબ જીતવાની બાબતમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે એ વાત તો બધા જાણે જ છે. રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈએ સૌથી વધુ ચાર વખત આઇપીએલની ટ્રોફી જીતી છે, જ્યારે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વાર ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે, પરંતુ તમે એવું ક્યારેય વિચાર્યું છે ખરું કે આઇપીએલમાં સૌથી વધુ જીત કઈ ટીમે મેળવી છે? આજે અહીં નજર કરીએ આઇપીએલની અત્યાર સુધી રમાયેલી ૧૨ સિઝનમાં કઈ ટીમ સૌથી વધુ મેચ જીતી છે.
મુંબઈની ટીમે અત્યાર સુધી ૧૮૭ મેચ રમીને ૧૦૭ જીત હાંસલ કરી
RCBને અત્યાર સુધીમાં માત્ર એક વાર ફાઇનલમાં પહોંચવા સિવાય ખાસ કોઈ સફળતા મળી નથી
મુંબઈ ઇન્ડિયન્સઃ આઇપીએલમાં સૌથી વધુ ખિતાબની જેમ જ સૌથી વધુ જીતનો રેકોર્ડ પણ મુંબઈ ઇન્ડિયન્સના નામે જ છે. મુંબઈની ટીમે અત્યાર સુધી ૧૮૭ મેચ રમીને ૧૦૭ જીત હાંસલ કરી છે, જ્યારે ૭૮ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સનાં ખાતાંમાં ત્રણ ટાઇ મેચ પણ નોંધાયેલી છે, જે તેણે સુપર ઓવરમાં જીતી લીધી છે. મુંબઈની જીતની સરેરાશ ટકાવારી ૫૭.૭૫ની છે.
ચેન્નઈ સુપર કિંગ્સઃ ધોનીનાં નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સનાં ખાતાંમાં પણ ૧૦૦ જીત નોંધાઈ ચૂકી છે. જોકે મુંબઈની સરખામણીએ ચેન્નઈની ટીમ બહુ ઓછી મેચ રમી છે. ચેન્નઈની ટીમ અત્યાર સુધીમાં ૧૬૫ મેચ રમી છે, જેમાંની ૬૩ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં ચેન્નઈ હારી ગયું હતું અને એક મેચ રદ થઈ છે. ચેન્નઈની જીતની સરેરાશ ટકાવારી ૬૧.૨૮ની રહી છે. આઇપીએલમાં ૬૦ ટકાથી વધુ જીતની સરેરાશ ધરાવનારી આ એકમાત્ર ટીમ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સઃ આ એકમાત્ર એવી ટીમ છે, જે આગામી આઇપીએલમાં ૧૦૦ જીતવાળી ક્લબમાં સામેલ થઈ જાય તેવી શક્યતા છે. અત્યાર સુધી કોલકાતાનીટીમ ૧૭૮ મેચ રમી છે, જેમાંથી ૯૨ મેચમાં તેનો વિજય થયો છે અને ૮૩માં પરાજય થયો છે. કોલકાતાની ટીમે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ત્રણ ટાઇ મેચ રમી છે, પરંતુ સુપર ઓવરમાં ગયેલી એ ત્રણેય મેચમાં પરાજય થયો છે. કેકેઆરની જીતની ટકાવારી ૫૨.૫૨ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ વિરાટના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને અત્યાર સુધીમાં માત્ર એક વાર ફાઇનલમાં પહોંચવા સિવાય ખાસ કોઈ સફળતા મળી નથી. આમ છતાં આરસીબી જીતના મામલે ચોથા નંબરની ટીમ છે. આરસીબીએ ૧૮૧ મેચમાંથી ૮૩ મેચ જીતી છે, ૯૨માં હાર થઈ છે. આરસીબીની ચાર મેચ રદ પણ થઈઆ છે, જ્યારે ટાઇ થયેલી બે મેચમાં સુપર ઓવર રમીને તેની જીતનો રેશિયો ૧-૧નો રહ્યો છે. આરસીબીની જીતની ટકાવારી ૪૭.૪૫ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ પોતાની માત્ર સાત આઇપીએલ સિઝન દરમિયાન એક વાર ખિતાબ જીતી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ જીતના મામલે શાનદાર રહ્યો છે. અત્યાર સુધી જીતની ટકાવારી ૫૩.૭૦ ધરાવનાર સનરાઇઝર્સે ૧૦૮ મેચમાંથી ૫૭માં વિજય મેળવ્યો છે, જ્યારે ૪૯માં પરાજય થયો છે. હૈદરાબાદની આ ટીમ પોતાની એકમાત્ર ટાઇ મેચ પણ સુપર ઓવરમાં જીતી ચૂકી છે.
કિંગ્સ ઈલેવન પંજાબઃ કિંગ્સ ઈલેવન પંજાબ એ દુર્ભાગ્યશાળી ટીમોમાંની એ છે, જે સારા ખેલાડી હોવા છતાં સારું કોમ્બિનેશનલ નક્કી નથી કરી શકતી. આમ છતાં કિંગ્સના ખાતામાં ૧૭૬ મેચમાંથી ૮૦માં જીત અને ૯૪ હાર નોંધાયેલી છે. જોકે પંજાબની ટીમ પોતાની બંને ટાઇ મેચ જીતવામાં સફળ રહી છે. તેની જીતની ટકાવારી ૪૬.૦૨ છે.
દિલ્હી કેપિટલ્સઃ ટીમનું નામ બદલીને ભલે દિલ્હી કેપિટલ્સ કરી દેવામાં આવ્યું હોય, પરંતુ અત્યાર સુધી તેનું નસીબ પલટાયું નથી. દિલ્હીની ટીમ આગામી લીગમાં ૧૦૦ જીતના બદલે હારની સદી ફટકારનારી તૈયારીમાં છે. દિલ્હીની ટીમે અત્યાર સુધી રમેલી ૧૭૭ મેચમાંથી ૭૬ મેચ જીતી છે, પરંતુ ૯૭ મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની બે મેચ રદ પણ થઈ ચૂકી છે અને બે મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં આ ટીમનો રેશિયો ૧-૧નો રહ્યો છે. ટીમની જીતની ટકાવારી ૪૪.૦૦ની છે.
રાજસ્થાન રોયલ્સઃ આઇપીએલની પ્રથમ સિઝનમાં ખિતાબ જીતીને બધાને ચોંકાવી દેનારી રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ ત્યાર બાદ સાવ ખરાબ રહ્યો છે. જોકે રોયલ્સ પણ જીતની ટકાવારીના હિસાબે ૫૧.૩૭ના રેકોર્ડ સાથે વધુ સારી દેખાઈ રહી છે, પરંતુ આનાથી ઊલટું આ ટીમના ખાતામાં સૌથી ઓછી ૭૩ જીત નોંધાયેલી છે, જ્યારે ૧૬૯ મેચ રમી ચૂકેલી રાજસ્થાનની ટીમને ૬૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની બે મેચ રદ થઈ છે અને ત્રણ ટાઇ મેચમાં તેનો રેકોર્ડ બે જીત અને એક હારનો રહ્યો છે.