દેશના તટીય શહેર અને હિમાલય સાથે જોડાયેલા વિસ્તારો પર જળવાયુ પરિવર્તન (Climate Change) ના કારણે મોટી અસર થશે. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેન્ટ ચેન્જ (IPCC) ના રિપોર્ટ અનુસાર, જો જળવાયુ પરિવર્તન પર હવે જો કાર્યવાહી કરવામાં વિલંબ થશે તો તેની તીવ્રતા સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થશે.
સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થશે 'જળવાયુ પરિવર્તન'
IPCCનો ક્લાયમેટ ચેન્જ રિપોર્ટ ભારત માટે ચિંતાજનક
ભારતનાં કેટલાંક શહેરોની મુશ્કેલીમાં થશે વધારો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવામાનમાં ફેરફાર થવાના કારણે વધુ કે ઓછો વરસાદ, પૂરનો પ્રકોપ કે લૂના કહેરનો ખતરો વધી શકે છે. રિપોર્ટમાં વધતા જતા તાપમાનના કારણે ભારતમાં કૃષિ ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો થવાની પણ આશંકા છે.
વધશે મુંબઈ, કોલકાતાની મુશ્કેલી!
IPCC રિપોર્ટ તૈયાર કરનારાઓમાં સામેલ અંજલ પ્રકાશ (Anjal Prakash) એ જણાવ્યું કે, 'આગામી વર્ષમાં શહેરી વસ્તીની સંખ્યામાં ઝડપથી વધારો થવાનો છે. ત્યારે આગામી 15 વર્ષમાં દેશની 60 કરોડ વસ્તી શહેરોમાં વસશે, જે વર્તમાન USની વસ્તી કરતા બમણી હશે. દેશમાં 7500 કિમીનો દરિયાકિનારો છે. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પુરી અને ગોવા જેવા વિસ્તારોમાં વધુ ગરમી પડી શકે છે. આ વિસ્તારોમાં દરિયાની સપાટી વધવાને કારણે પૂર જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, અહીં ચક્રવાતી તોફાનનો પણ ખતરો રહેશે.
વિશ્વની અડધી વસ્તી પર સંકટ!
યુનાઈટેડ નેશન્સ ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટ અનુસાર વિશ્વની અડધી વસ્તી સંકટમાં છે. તમામ પ્રયાસો બાદ પણ ઇકોસિસ્ટમમાં સુધારો થતો નથી જણાઇ રહ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો તાપમાનમાં 1-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતમાં ચોખાના ઉત્પાદનમાં 10 થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે મકાઈના ઉત્પાદનમાં 25 થી 70 ટકાનો ઘટાડો થઈ શકે છે. અહેવાલમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, એશિયામાં કૃષિ અને ખાદ્ય પ્રણાલીને લગતા જોખમ પણ પૂરા ક્ષેત્રમાં અલગ-અલગ પ્રભાવો સાથે ધીરે-ધીરે વધશે.
ભારતના ત્રણ શહેરોનો પણ ઉલ્લેખ
યુક્રેન અને રશિયાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં 14 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવેલા IPCC ના અહેવાલને મંજૂરી આપી દીધી છે. આ અહેવાલમાં આબોહવા પરિવર્તનનો સામનો કરવાની રીતોની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં લોકો માટે તેના જોખમનો સામનો કરવા અને તેમની જીવનશૈલીમાં સુધારો કરવાની રીતો પણ વર્ણવવામાં આવી છે. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતીય શહેરો સુરત, ઈન્દોર અને ભુવનેશ્વર કઈ રીતે જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યાં છે.
અહેવાલને 195 દેશોએ આપી મંજૂરી
બે સપ્તાહની બેઠકમાં IPCC ના રિપોર્ટને 195 દેશોએ મંજૂરી આપી દીધી છે. આબોહવા પરિવર્તન 2022: અસર, અનુકૂલન અને નબળાઈ (Climate Change 2022: Impacts, Adaptation and Vulnerability) માં જળવાયુ પરિવર્તનની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
IPCC રિપોર્ટના મહત્વનાં મુદ્દા
જો વિશ્વના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, રિપોર્ટમાં ક્લાઈમેટ ચેન્જના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવી છે અને આ નુકસાનને કઇ રીતે ઘટાડવું તેની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વિશ્વની 3.6 અબજની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં ક્લાઈમેટ ચેન્જની સૌથી વધુ અસર થઈ શકે છે. આગામી બે દાયકાઓમાં વિશ્વભરમાં તાપમાનમાં 1.5 ડિગ્રી સે.નો વધારો થવાનું અનુમાન છે. તાપમાનમાં વધારાના કારણે ખાદ્ય સુરક્ષા, પાણીની અછત, જંગલની આગ, આરોગ્ય, પરિવહન વ્યવસ્થા, શહેરી માળખાકીય સુવિધાઓ અને પૂર જેવી સમસ્યાઓ પણ વધવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
જાણો ભારત પર તેની શું થશે અસર?
રિપોર્ટ અનુસાર, ભારતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે અને તેનાથી મનુષ્યો માટે ખતરો ઉભો થશે. ભારતીય શહેરોમાં ભારે ગરમી, શહેરી પૂર, દરિયાઈ સપાટીમાં વધારો તેમજ ચક્રવાતી તોફાનો આવવાની આશંકા સેવાઇ રહી છે. આ સદીના મધ્ય સુધીમાં લગભગ 3 કરોડ લોકોની દેશની વસ્તી દરિયાકાંઠાના પૂરના જોખમનો સામનો કરશે તેમજ સદીના અંત સુધીમાં આ આંકડો 5 કરોડ સુધી જઈ શકે છે. અહેવાલમાં દક્ષિણ ભારતમાં તેલંગણામાં જળ સંચયની જૂની ટેક્નિકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમના સંબોધનમાં, UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુતારેસે ઉમેર્યું હતું કે, આપત્તિજનક પરિણામો સાથે આગામી દાયકામાં વૈશ્વિક ઉત્સર્જનમાં 14 ટકાનો વધારો થવાનું અનુમાન છે. આ યુએન રિપોર્ટ 67 દેશોના 270 થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને 195 સરકારો દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. અહેવાલ દર્શાવે છે કે, બગડતા જળવાયુનો પ્રભાવ વિશ્વના દરેક ભાગમાં વિનાશકારી છે અને તે આ ગ્રહ પરની દરેક જીવંત ચીજો - મનુષ્યો, પ્રાણીઓ, છોડ અને સમગ્ર ઇકોસિસ્ટમને અસર કરી રહી છે. આ રિપોર્ટ IPCC નાં છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલનો બીજો હપ્તો છે. છઠ્ઠો અહેવાલ આ વર્ષે પૂર્ણ થશે.