જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ શુક્રવારે કહ્યું હતું કે તે 1 એપ્રિલથી ઓછા કાર્બન ઉત્સર્જન વાળા BS-6 ધોરણોનું બળતણ સપ્લાય કરવા તૈયાર છે. જો કે આમ થવાથી બળતણના છૂટક ભાવમાં થોડો વધારો થશે.
શુદ્ધ પેટ્રોલના ભાવોમાં મામુલી વધારો થશે
1 એપ્રિલથી નવા ભાવ સાથેનું શુદ્ધ પેટ્રોલ વેચાશે
IOCના અધ્યક્ષ સંજીવસિંહે મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી ઓઇલ સપ્લાયર કંપનીએ ઓછા સલ્ફર વાળા ડીઝલ અને પેટ્રોલ ના ઉત્પાદન માટે તેની રિફાઇનરીઓને સુધારવામાં 17,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
કિંમતોમાં વધારા અંગે સિંહે કહ્યું હતું કે 1 એપ્રિલથી બળતણની છૂટક કિંમત વધશે પરંતુ આ વધારો સાધારણ જ હશે. 1 એપ્રિલથી દેશભરમાં નવા ઇંધણનું વેચાણ શરુ થશે જેમાં માત્ર 10 PPM (પાર્ટ્સ પર મિલિયન) સલ્ફરની માત્રા હશે જે હાલમાં 50 PPM છે.
જો કે તેમણે એમ જણાવ્યું નથી કે નવા ઇંધણના ભાવમાં કેટલો વધારો થશે. તેમણે કહ્યું કે તેઓ ખાતરી આપે છે કે તેઓ ગ્રાહકો પર બોજો નહીં લગાવે.
સિંઘે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) એ તેમની રિફાઇનરીને સુધારવા માટે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાંથી ફક્ત IOCએ જ 17,000 કરોડનું રોકાણ કર્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં BPCLએ કહ્યું હતું કે તેણે લગભગ 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ONGC દ્વારા સંચાલિત HPCLએ હજુ જાહેર નથી કર્યું કે BS-6 બળતણ પુરવઠો હજી સુધી કેટલો તૈયાર છે.
HPCLએ કહ્યું હતું કે તે 26-27 ફેબ્રુઆરીથી BS-6 બળતણ સાથે તૈયાર છે અને 1 માર્ચથી ફક્ત નવા બળતણનું જ વેચાણ કરશે.