કોંગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ છે અને તેનો ભૂતકાળ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલબહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલો છે. એ જ રીતે કોંગ્રેસનો ખરડાયેલો ભૂતકાળ ૧૯૭પની તાનાશાહી અને ઈમર્જન્સી સાથે પણ એટલો જ સંબંધ ધરાવે છે.
કોંગ્રેસે કયા ભૂતકાળને આદર્શ માનીને આગળ વધવું તે નિર્ણય હવે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણાપ્રધાન-ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોએ કોંગ્રેસના દામન પર ફરી એક વખત એવા ડાઘ લગાવી દીધા છે, જેને સાફ કરવા સહેલા નથી.
જે વ્યક્તિ કાળો કોટ પહેરીને બીજાના કેસ લડતી હોય અને વારંવાર કાનૂનની દુહાઈ આપતી હોય તેણે ખુદની ધરપકડ થવાની હોય ત્યારે એ જ કાયદાને પૂરું સન્માન આપવું જ જોઈએ પણ દુર્ભાગ્યે ચિદમ્બરમના કેસમાં આવું થયું નથી.
મનમોહનસિંહનો શાસનકાળ કોંગ્રેસ માટે એવો ત્રાસદાયક સાબિત થયો છે કે તેમાં થયેલાં એક પછી એક મોટાં કૌભાંડ સતત સામે આવ્યાં છે અને પક્ષની મુસીબત પણ સતત વધતી રહી છે. રાજકારણમાં આસમાની સુલતાની ભોગવતા લોકો પણ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જતા હોય છે.
ચૂંટણીની હાર-જીત તો ચાલતી જ રહેશે પણ જે વ્યક્તિ એક સમયે સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓનો ‘બોસ’ રહી હોય, જે વ્યક્તિ ક્યારેક બંધારણીય ઉચ્ચ પદ પર બિરાજમાન હોય, તેના ઉપર જ જ્યારે હજારો કરોડના ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડની તલવાર લટકે ત્યારે એ ફક્ત કોંગ્રેસ માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે શરમજનક ઘટનાક્રમ જ બની રહેવાનો છે.
બહુચર્ચિત આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમ દોષી છે કે નહીં તેનો ફેંસલો તો કોર્ટ જ કરશે, પરંતુ ખુદ એક વ્યક્તિ દેશના જાણીતા વકીલ હોવા છતાં પણ કાયદાથી ભાગવાની નિષ્ફળ અને હાસ્યાસ્પદ કોશિશ કરે અને તેમની ધરપકડ કરવા માટે સીબીઆઈના અધિકારીઓએ તેમના ઘરની દીવાલ કૂદીને અંદર જવું પડે એ આખી વાત જ કાયદાની મોટી મજાક સમાન છે.
ભ્રષ્ટાચારના ઘણા અલગ અલગ કેસમાં ચિદમ્બરમ, તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ પણ તપાસ અને શંકાના ઘેરામાં છે. ખુદ ચિદમ્બરમને આ કેસોમાં લગભગ ર૭ વખત કોર્ટમાંથી આગોતરા જામીન મળી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમને કોર્ટમાંથી ક્યારેય ન ભુલાય તેવો આકરો ઝાટકો વાગ્યો છે.
વિધિની વક્રતા તો જુઓ કે કોંગ્રેસના જે ટોચના વકીલો અડધી રાતે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવી નાખતા હતા તેઓ આખો દિવસ મથ્યા છતાં પણ પોતાના નેતાની જામીનઅરજી પર સુનાવણી ન કરાવી શક્યા. પરિણામે મોડી રાતે ચિદમ્બરમને સીબીઈઆઈ દ્વારા અત્યંત નાટકીય ઘટનાક્રમના અંતે પકડી લેવામાં આવ્યા.
કોંગ્રેસે ભલે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમને ચિદમ્બરમ સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વિક્ટિમ કાર્ડ’ રમીને ‘રાજનૈતિક દુર્ભાવનાથી પ્રેરિત પગલું’ ગણાવવાની કોશિશ કરી હોય, પરંતુ દેશના સૌથી જૂના પક્ષ હોવાના નાતે કોંગ્રેસની આ પ્રેસ કોન્ફરન્સ સવાલોના જવાબ આપવાના બદલે અનેક અકળાવનારા સવાલો ઊભા કરતી ગઈ.
કોંગ્રેસે હવે એ વાત સમજવી જોઈએ કે પોતાના નેતા સાથે ઊભા રહેવું અને તેમને ક્લીનિચટ આપીને નિર્દોષ હોવાનો એકતરફી ફેંસલો સંભળાવી દેવો કે ‘મિ. ક્લીન’નું સર્ટિફિકેટ આપી દેવું એ અલગ વાત છે. કોંગ્રેસે આ તબક્કે ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ જાળવી રાખવાની અને તે પ્રગટ કરવાની જરૂર હતી.
કોર્ટ ચિદમ્બરમના કેસમાં જે ચુકાદો આપે તે શિરોમાન્ય રાખવાથી કંઈ કોંગ્રેસનું કદ રાતોરાત ઘટી જવાનું નહોતું પણ આર્થિક અપરાધ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજકારણ રમવું એ કોઈ દૃષ્ટિએ માફીને પાત્ર હરકત નથી જ.
આપણો દેશ વર્ષોથી એવી રાજનીતિનો સાક્ષી રહ્યો છે, જેના કારણે નાની-મોટી માછલીઓ તો જાળમાં ફસાય જાય છે પણ મગરમચ્છ માટે કાયદાની આ જાળ પણ નાની પડે છે. દેશવાસીઓને એવી આશા જાગી છે કે દેશના વિકાસનાં મૂળિયાં કોરી ખાતા ભ્રષ્ટાચારના દાનવની કબર આખરે ખોદાઈ રહી છે.
કોંગ્રેસે ભ્રષ્ટાચાર વિરોધી આ મહાયજ્ઞમાં ભાગીદાર બનવાના બદલે તેમાં વિઘ્ન નાખવાનો નિંદનીય વિકલ્પ પસંદ કર્યો છે. સમગ્ર દેશમાં જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી માહોલ તેની ચરમસીમાએ છે ત્યારે કાયદાકીય પ્રક્રિયાનો વિરોધ કરીને મચાવવામાં આવી રહેલી આ કાગારોળ ખુદ કોંગ્રેસ માટે જ મરણતોલ ફટકો સાબિત થાય તો પણ નવાઈ નહીં.•