ભારતીય શેરબજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આજે માર્કેટ બંધ થતા સુધીમાં રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
ભારતીય શેર બજારમાં 5 લાખ કરોડનું ધોવાણ
અમેરિકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરોમાં વધારો કર્યો
ભારતનો વિકાસદર સતત ઘટી રહ્યો છે: રીપોર્ટસ
અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની વ્યાજના દરમાં વધારો કરવાની જાહેરાત અને ત્યારબાદ ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના કારણે ભારતીય શેરબજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો એશિયાઈ હોય કે યુરોપિયન હોય કે અમેરિકન દુનિયાભરના શેર બજારોમાં ઘટાડો દરેક જગ્યાએ થયો છે અને તેની અસર ભારતીય બજારો પર પણ દેખાઈ રહી છે, જેના કારણે શેર બજારના રોકાણકારોને હાલાકી ભોગવવી પડે છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજારમાં રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
5 લાખ કરોડનું ધોવાણ
ગુરુવારે ભારતીય શેરબજાર બંધ થયું ત્યારે મુંબઈ શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 281.70 લાખ કરોડ રૂપિયાની નજીક હતું. જે શુક્રવારના ઘટાડા બાદ ઘટીને 276.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો છે પરંતુ સાથે ભવિષ્યમાં વધુ વધવાના સંકેત પણ આપ્યા છે, જેના કારણે વિદેશી રોકાણકારો બજારમાં વેચવાલી કરી રહ્યા છે.
ફરી રેપો રેટમાં વધારો થઇ શકે છે
28-30 સપ્ટેમ્બરે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળવાની છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી ફરી 7 ટકાની નજીક પહોંચી ગઈ છે. જે બાદ આરબીઆઈ ફરીથી રેપો રેટ વધારવાની અટકળો લગાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 30 સપ્ટેમ્બરે આરબીઆઈ રેપો રેટ 35 બેસિસ પોઈન્ટથી વધારીને 50 બેસિસ પોઈન્ટ કરવાની જાહેરાત કરી શકે છે.
વિકાસદરમાં સતત ઘટાડાના અનુમાન
એક પછી એક અનેક રેટિંગ એજન્સીઓ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરી રહી છે. આ કારણે બજારની ચિંતા વધી છે. સાથે જ ખરીફ પાકની ઉપજમાં ઘટાડો થવાના કારણે મોંઘવારી વધારે રહી શકે છે. આ પણ ચિંતાનું કારણ છે.