વ્યાજદરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન વિકાસપત્ર (KVP)ને લઇને એક મોટી જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું છે કે હવે કિસાન વિકાસપત્રમાં નાણા બમણા થવામાં એક મહિનો વધુ લાગશે.
હવે કિસાન વિકાસપત્ર સ્કીમમાં નાણા બમણા થવામાં ૯ વર્ષ અને ૫ મહિનાનો સમય લાગશે, જ્યારે અગાઉ ૯ વર્ષ અને ૪ મહિનામાં કિસાન વિકાસપત્રમાં નાણા બમણા થતા હતાં. નાણાં મંત્રાલયે કિસાન વિકાસપત્ર નિયમ-૨૦૧૪માં થયેલા સુધારાની માહિતી આપતાં જણાવ્યું હતું કે આ સુધારો ૧ જુલાઇ, ૨૦૧૯થી અમલી થશે અને આમ હવે કિસાન વિકાસપત્રમાં રોકેલ રકમ ૧૧૩ મહિનામાં બમણી થશે.
આ અગાઉ ૧૧૨ મહિનામાં કેવીપીની રકમ બમણી થતી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કિસાન વિકાસપત્ર પર આપવાનું થતું વ્યાજ ઘટાડીને ૭.૬ ટકા કરી દેવામાં આવ્યું છે, જ્યારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ વ્યાજ ૭.૭ ટકા હતું. સરકાર લઘુ બચતની પ્રોડક્ટ પર વ્યાજદરમાં દર ત્રણ મહિને સુધારા કરે છે.
કોઇપણ વ્યક્તિ કિસાન વિકાસપત્રમાં રૂ.૧,૦૦૦ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. કિસાન વિકાસપત્ર રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦૦, રૂ. ૧૦૦૦૦ અને રૂ.૫૦૦૦૦૦ ના મૂલ્યમાં જારી કરવામાં આવે છે. કિસાન વિકાસપત્રનું વેચાણ પોસ્ટ ઓફિસ મારફતે થાય છે.
કિસાન વિકાસપત્ર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની તારીખથી અઢી વર્ષમાં એનકેશ કરાવી શકાય છે. અઢી વર્ષ બાદ મેચ્યોરિટી પૂર્વે કિસાન વિકાસપત્ર એન્કેશ કરાવવાથી પ્રત્યેક રૂ.૧૦૦૦ ના રોકાણ પર રૂ.૧૧૭૩ મળશે. ત્રણ વર્ષ બાદ કેવીપી એન્કેશ કરાવવા પર પ્રત્યેક રૂ. ૧૦૦૦ પર રૂ. ૧૨૧૧ અને સાડા ત્રણ વર્ષ બાદ એન્કેશ કરાવવાથી પ્રત્યેક રૂ. ૧૦૦૦ પર રૂ. ૧૨૫૧ મળશે.