અમદાવાદના અનેક વિસ્તારોમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા છેલ્લા ઘણા સમયથી ફેલાઈ છે. આ અફવાને પગલે માતા-પિતાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે VTV NEWSની ટીમની સઘન તપાસમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય હોવાની વાત અફવા નીકળી છે. VTVના રિયાલિટી ચેકમાં વાયરલ મેસેજો અફવા હોવાનું ખુલ્યું છે. તો સોલા પોલીસે અફવા ફેલાવા બદલ બિમલ પટેલ નામના યુવકની ધરપકડ કરી છે.
એક અફવાના કારણે શહેરભરમાાં તણાવ
અમદાવાદના ઘણા વિસ્તારોમાં આજકાલ તણાવનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. દરેક સ્કૂલની બહાર સૂચન લખવામાં આવ્યાં છે કે કોઈપણ વાલીઓ અને રિક્ષાવાળા બાળકોને સ્કૂલે મૂકવા આવે તો તેમને સ્કૂલ બહારથી જ મૂકીને જતા ન રહેવું. આ તણાવ પાછળનું કારણ છે અફવા.
બાળકોને ઉઠાવી જનારી ટોળકી સક્રિય હોવાના મેસેજો વાયરલ
વાસ્તવમાં સોશિયલ મીડિયામાં એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે, 'ભિખારીઓના વેશમાં બાળકોને ઉઠાવી જનારી ટોળકી સક્રિય થઈ છે માટે તમારાં બાળકોને બચાવો.' આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એક એવો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખેલું છે કે, 'અમદાવાદમાં બાળકો ઉઠાવાની ગેંગ સારી રીતે એક્ટિવ છે. રવિવારે શેલ્બી હોસ્પિટલ નરોડા પાસેથી બાળકને ઉપાડી જવાની કોશિશ કરવામાં આવી છે અને કાલે સાયન્સ સિટી રોડ પરથી. ભરચક રોડ પર બાળકોને ઉઠાવવા માટે વેન અને 2 વ્હિલ વાળી ટીમો ફરે છે. કામ હોય તો પણ બાળકોને એકલા મોકલવાનું ટાળો.'
તપાસ કરવા માટે પહોંચી સોસાયટીમાં પહોંચી હતી VTVની ટીમ
અમદવાદના સાયન્સ સિટી રોડ અને નરોડા શેલ્બી હોસ્પિટલ પાસે બાળકો ઉપાડી ગયાની વાત વાયુવેગે ફેલાતા વાયરલ મેસેજમાં જે સોસાયટીનો ઉલ્લેખ હતો ત્યાં VTVની ટીમ પહોંચી હતી. 42 પાર્ક વ્યૂ અને સેરેનિટી લેવિસ સોસાયટીમાં VTVની ટીમ તપાસ કરવા માટે પહોંચી હતી. બંને સોસાયટીઓમાં કોઈ ઘટના ન બન્યાનું સામે આવ્યું હતું. બંને સોસાયટીના જવાબદાર વ્યક્તિઓએ વાયરલ મેસેજનું ખંડન કર્યું હતું. અમારી ટીમની તપાસમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય હોવાની વાત અફવા નીકળી હતી. તો પોલીસની તપાસમાં પણ આ વાત માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું.
આ માત્ર અફવા છેઃ જે.બી અગ્રવાત
આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી અગ્રવાતે જણાવ્યું હતું કે, આ માત્ર અફવા છે, આવી કોઈ ઘટના બની જ નથી. માટે દરેકને અમે આવી અફવાથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ.
આવા મેસેજ ફેલાવનાર પર થશે કડક કાર્યવાહીઃ જીતુ વાઘાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કૂલમાંથી બાળકો ઉઠાવી જવાની અફવા મામલે ગઈકાલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મારી વાલીઓને વિનંતી છે કે અમારો શિક્ષણ વિભાગ એમની વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત છે. ચૂંટણી આવતી હોય છે ત્યારે હંમેશા આ પ્રકારની વિકૃતિઓ, અપ્રચાર, જૂઠાણાઓ ફેલાવીને જનતામાં એકપ્રકારનો ભય ફેલાવવાનો પ્રયાસ થતો હોય છે. જે લોકો આ અફવા ફેલાવી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત તેમણે લોકોને વિનંતી કરતા કહ્યું કે, કોઈપણ નાની મોટી ઘટના બને તો તુરંત જ તંત્રનો, સ્કૂલનો, અમારો અને પોલીસનો સંપર્ક કરે.