ભારત માટે પાડોશી દેશ ચીનમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. એક અગ્રણી મનાતી વૈશ્વિક થિંક ટેન્કે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો જારી કરી છે, જેમાં ચીન દુનિયાના બીજા નંબરના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ)નું નિર્માણ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાંઘાઇ શિપયાર્ડથી દૂર એક ગુપ્ત જગ્યાએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી માટે તૈયાર થઇ રહેલા આ એરક્રાફ્ટ કેરિયરને બનાવવાનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે.
ચીન પાસે હયાત વિમાનવાહક જહાજોની સરખામણીએ આ યુદ્ધજહાજ ઘણું જ વિશાળ અને વધારે શક્તિશાળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એક સંરક્ષણ નિષ્ણાતે એવી ચેતવણી ઉચ્ચારી છે કે ચીનના આ એરક્રાફ્ટ કેરિયરને ટક્કર આપી શકે તેવું જહાજ એશિયાના બીજા કોઇ દેશ પાસે નથી. જાપાન અને ભારત પાસે જે વિમાનવાહક જહાજો છે તેમની સરખામણીએ તે ઘણું જ ચડિયાતું હોવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભારત માટે આ નવો ચિંતાનો વિષય છે.
અમેરિકા સ્થિત ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ’ (સીએસઆઇએસ) દ્વારા આ તસવીરો જારી કરવામાં આવી છે. મહત્ત્વનું એ છે કે ઉપગ્રહથી લેવાયેલી આ તસવીરો એપ્રિલ માસમાં લેવામાં આવી હતી, જેમાં જહાજના અગ્રભાગ અને મુખ્ય ભાગ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાનું જણાય છે. ધુમ્મસ અને વાદળાંના કારણે ઉપગ્રહથી લેવાયેલી તસવીરો થોડી અસ્પષ્ટ આવી છે, પરંતુ તેના પરથી તે કેટલું વિરાટ છે તેનો અંદાજ જરૂર લગાવી શકાય છે.
સીએસઆઇએસના અંદાજ મુજબ જહાજનો મુખ્ય ભાગ લગભગ ૪૦ મીટર પહોળો છે, જેના પરથી તેના રાક્ષસી કદનું અનુમાન આવે છે. ચીન પાસે હાલમાં કાર્યરત ‘ધ લિયનિંગ’ ક્લાસના એરક્રાફ્ટ કેરિયરની ગણના ટાઇપ-૦૦૧એ તરીકે થાય છે. ચીન હાલમાં જે યુદ્ધજહાજ બનાવી રહ્યું છે તેને ટાઇપ-૦૦ર તરીકે ઓળખવામાં આવશે, જે અગાઉનાં જહાજો કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હશે તેમ માનવામાં આવે છે.
હોંગકોંગ સ્થિત સંરક્ષણ નિષ્ણાત સોન્ગ ઝોન્ગિપંગને ટાંકીને ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’એ લખ્યું છે કે ટાઇપ-૦૦ર ક્લાસ કેરિયરને લગભગ ૮૦,૦૦૦ ટન વજન વહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જ ક્ષમતા તેને દુનિયાના બીજા સૌથી શક્તિશાળી વિમાનવાહક જહાજની હરોળમાં લાવીને મૂકી દે છે. યાદ રહે કે અમેરિકન નેવી પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી સુપર એરક્રાફ્ટ કેરિયર છે, જેની ક્ષમતા ૧,૦૦,૦૦૦ લાખ ટન વજન વહન કરવાની છે.
આમ, ચીન અમેરિકા બાદ બીજો એવો દેશ બની જશે, જેની પાસે આવું વિશાળ એરક્રાફ્ટ કેરિયર હશે. તાજેતરમાં પેન્ટાગોને ચીનના એરક્રાફ્ટ કેરિયરની યોજનાનો એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન વર્ષ ર૦રર સુધીમાં આ જહાજ કાર્યરત કરવાની યોજના ધરાવે છે. યુદ્ધ સમયે આ એરક્રાફ્ટ કેરિયર મોટી માત્રામાં બળતણ, મિસાઇલ્સ તેમજ બોમ્બ લઇ જઇ શકવામાં પણ સક્ષમ હશે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે ન્યુક્લિયર મિસાઇલ ફાયર કરી શક્શે કે કેમ તે વિશે સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિશ્લેષક ઇયાન સ્ટોરેએ એશિયાના દેશો, વિશેષ કરીને ભારત અને જાપાનને ચેતવતાં જણાવ્યું છે કે એક વખત ચીનનું આ એરક્રાફ્ટ કેરિયર તૈયાર થઇ જશે ત્યાર પછી એશિયાનો એક પણ દેશ આ વિધ્વંસક જહાજની બરોબરી કરી શકશે નહીં.
ભારત હાલમાં રશિયા પાસેથી ખરીદાયેલ વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રમાદિત્યનો ઉપયોગ કરી રહ્યું છે. આઇએનએસ વિક્રમાદિત્ય ઉપરાંત તૈયાર થઇ રહેલું આઇએનએસ વિક્રાંત ૪પ,૦૦૦ ટનની ક્ષમતા ધરાવે છે.
વર્ષ ર૦૩પ સુધીમાં ચીન આવાં છ જહાજ સમુદ્રમાં તહેનાત કરવાની યોજના ધરાવે છે. ખંધા ચીનની ચાલ સામે ભારત અને અન્ય એશિયાઇ દેશોએ હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.