સરકારે હવે ઇન્ટરનેટ પર પ્રતિબંધના હથિયારનો ઉપયોગ ફૂંકી ફૂંકીને કરવો પડશે. હવે સરકારે સમજવું પડશે કે જો ઈન્ટરનેટ પર પ્રતિબંધનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી લોકોનો આક્રોશ વધશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કાશ્મીરમાં ઈન્ટરનેટ શટડાઉન સામે થયેલી અરજી પર એક સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને બંધારણના અનુચ્છેદ-૧૯ હેઠળ અભિવ્યકિતના અધિકારનું એક સ્વરૂપ આપીને તેને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપ્યું છે.
ચુકાદો માત્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે મહત્ત્વપૂર્ણ
ઈન્ટરનેટ હવે માનવ જીવનનું કેન્દ્ર બિંદુ બની ગયું છે
સરકાર ઇન્ટરનેટનો છાસવારે ઉપયોગ બંધ કરી દેતી હતી તે કરી શકશે નહીં
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દૂરોગામી મહત્ત્વ ધરાવે છે. આ ચુકાદો માત્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રથમ એવો ચુકાદો છે જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઇન્ટરનેટની ભૂમિકા અને દરજ્જાને મહત્ત્વ આપ્યું છે અને અભિવ્યકિતની સ્વતંત્રતા તેમજ કોઇ પણ વ્યવસાયના સંચાલન માટે ઇન્ટરનેટના ઉપયોગને મૂળભૂત અધિકારનો દરજ્જો આપ્યો છે.
સ્વતંત્રતા બાદના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સુવર્ણ અક્ષરે લખાશે
અગાઉ આ સંદર્ભમાં વાત ચાલી હતી, પરંતુ તેના પર અત્યાર સુધી કોઇએ સ્પષ્ટ નિર્ણય આપ્યો નહોતો કે તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આમ ભારતની સ્વતંત્રતા બાદના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સુવર્ણ અક્ષરે લખાશે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે ઈન્ટરનેટ હવે માનવ જીવનનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. ઇન્ટરનેટના ઉપયોગ પર જેવી રોક લગાવવામાં આવે છે કે લોકોનાે મૂળભૂત અધિકાર પ્રભાવિત થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણને બંધારણના અનુચ્છેદ-૧૯ દ્વારા પ્રાપ્ત છે. જ્યારે જીવન જીવવાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ-ર૧ હેઠળ પ્રાપ્ત છે.
ઇન્ટરનેટને લઇને અનેક કોકડાં ઉકેલાઇ જશે
આ સંજોગોમાં ઇન્ટરનેટ જ એક માત્ર એવું માધ્યમ છે જે કોઇ પણ વ્યકિત પછી ભલે તે કોઇ પણ હોદ્દા કે સ્થાન પર હોય, પરંતુ તુરત એક આંતરરાષ્ટ્રીય લેખક, બ્રોડકાસ્ટર અને ટ્રાન્સમીટર બનાવી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિચારોની અભિવ્યકિત માટે ઇન્ટરનેટથી બહેતર બીજું કોઇ માધ્યમ અત્યારે આપણી પાસે નથી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટને નવી માન્યતા અને દરજ્જો આપ્યો છે ત્યારે ઇન્ટરનેટને લઇને અનેક કોકડાં ઉકેલાઇ જશે. જોકે તેનો અર્થ એ પણ નથી કે ઇન્ટરનેટના ઉપયોગને લઇને આપણને અબાધિત સ્વતંત્રતા હાંસલ થઇ ગઇ છે. હજુ પણ તેના ઉપયોગ પર મુનાસીબ પ્રતિબંધ લગાવી શકાશે.
સરકાર ઇન્ટરનેટનો છાસવારે ઉપયોગ બંધ કરી દેતી હતી તે કરી શકશે નહીં
આવો પ્રતિબંધ અનુચ્છેદ-૧૯ (ર) હેઠળ કરવામાં આવશે. જ્યારે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા કે સુરક્ષા જોખમમાં મુકાય, પડોશી દેશો સાથે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સંબંધ વણસવાની દહેશત હોય, સામાજિક મર્યાદા અને નૈતિકતાના રક્ષણનો પ્રશ્ન હોય તો ઇન્ટરનેટનો ઉપયોગ પ્રતિબંધિત કરી શકાશે, પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસવાની આશંકા માત્રથી સરકાર ઇન્ટરનેટનો છાસવારે ઉપયોગ બંધ કરી દેતી હતી તે કરી શકશે નહીં અને જો ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવો હશે તો સરકારે યોગ્ય કારણ બતાવવું પડશે. આ અદાલતી ચુકાદા બાદ હવે સરકારની પણ જવાબદારી વધી ગઇ છે. તેનાથી પારદર્શિતામાં પણ વધારો થશે. હવે સરકાર ઇન્ટરનેટના ઉપયોગ પર મરજી મુજબ પ્રતિબંધ મૂકી શકશે નહીં.
જો સરકાર આમ કરશે તો તેના નિર્ણયને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. આમ સરકારે હવે ઇન્ટરનેટ પર પ્રતિબંધના હથિયારનો ઉપયોગ ફૂંકી ફૂંકીને કરવો પડશે. હવે સરકારે સમજવું પડશે કે જો ઈન્ટરનેટ પર પ્રતિબંધનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી લોકોનો આક્રોશ વધશે. આજે ઇન્ટરનેટનો પ્રસાર એટલો બધો વધી ગયો છે કે માત્ર એક કલાકનો પ્રતિબંધ મૂકવાથી લોકોને કરોડો રૂપિયાનું નુુકસાન થાય છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે હવે ઇન્ટરનેટ પર રોક લગાવવાને બદલે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે લોકોને માર્ગદર્શિત કરવા પડશે. સામે પક્ષે લોકોએ હવે ઇન્ટરનેટનાે બેફામ દુરુપયોગ ન થાય તે પણ જોવું પડશે.