જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પરના પ્રતિબંધની અસર જેહાદી દુષ્પ્રચાર પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ જ કારણ છે કે રાજ્યના પુનર્ગઠનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી આતંકના વિષચક્રમાં ફસાયેલા યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સુરક્ષા એજન્સીઓના સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ઓગસ્ટથી ઑક્ટોબર મહિના સુધીમાં ફક્ત 16 યુવાનોએ આતંકીઓ અને ઑવરગ્રાઉન્ડ વર્કર્સની વાતો ને દુષ્પ્રચારમાં દોરવાઈને હથિયારો ઉપાડ્યા છે. સુરક્ષાદળોના અભિયાનની અસર પણ આતંકી સંગઠનોનું મનોબળ તોડી રહી છે અને આ વર્ષે 110 યુવાનો શાંતિનો રસ્તો છોડીને આતંકીઓ બન્યા છે. આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ લગભગ અડધી છે.
2017 થી 2019 દરમિયાન 447 કાશ્મીરના યુવકો બન્યા આતંકી
ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી, 2017થી 31 ઑક્ટોબર, 2019 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 447 સ્થાનિક યુવકો આતંકવાદી બન્યા છે. ગયા વર્ષે સૌથી વધુ 209 યુવાનો જેહાદી દુષ્પ્રચારની મેલી રમતમાં ફસાઈ ગયા હતા અને આતંકના માર્ગે આગળ વધી ગયા હતા. 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની દરખાસ્ત લાવતા પહેલા સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
સમગ્ર ખીણ વિસ્તારમાં ફોન સેવા પણ બંધ હતી. હવે લગભગ એક મહિના પહેલા મોબાઈલ સેવા પુન: સ્થાપિત કરવામાં આવી છે અને ફક્ત પસંદગીની સરકારી કચેરીઓમાં જ કડક દેખરેખ હેઠળ ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
ઉગ્ર હિંસક પ્રદર્શનોમાં પણ ઓચિંતો ઘટાડો નોંધાયો
ઈન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધને કારણે જમ્મુ-કાશ્મીરમાં ઉગ્ર હિંસક પ્રદર્શનમાં સતત ઘટાડો થયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઓગસ્ટથી ઑક્ટોબર મહિના સુધીમાં ફક્ત 16 યુવકો આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે. ઓગસ્ટમાં ફક્ત બે યુવકો આતંકી બન્યા હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, 2018ના ઓગસ્ટ મહિનામાં 17, સપ્ટેમ્બરમાં 13 અને ઑક્ટોબર મહિનામાં 14 યુવાનોએ રાહ ભટકીને હથિયાર ઉઠાવી લીધા હતા.
દક્ષિણ કાશ્મીર હજુ પણ આતંકનો ગઢ
સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ વર્ષે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે 46 યુવાનો, જૈશ-એ-મોહમ્મદ સાથે 34 અને લશ્કર-એ-તોઈબા સાથે 22 યુવાનો જોડાયા છે. દક્ષિણ કાશ્મીર હજુ પણ આતંકનો ગઢ બનેલું છે અને આ વર્ષે આતંકના રસ્તે ચડેલા કુલ 110માંથી સૌથી વધુ પુલવામાના 36 યુવાનોએ શાંતિનો માર્ગ છોડી દીધો છે. ગયા વર્ષે પણ પુલવામાંથી જ સૌથી વધુ 94 યુવાનો આતંકવાદના રસ્તે ચડી ગયા હતા.
કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, હજુ પણ ઑવરગ્રાઉન્ડ વર્કર્સ યુવાનોના મનમાં ઝેર ભરવાના ષડ્યંત્ર ઘડી રહ્યા છે. આવા યુવાનોને ઘરે પરત લાવવા માટે સુરક્ષાદળોએ ખાસ અભિયાન શરૂ કર્યા છે. ભારતીય સેનાનું ‘ઑપરેશન મા’ પણ હાલ ખુબ ચર્ચામાં છે.