Interim order of High Court in Morbi accident case
BIG BREAKING /
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત HCનો મોટો આદેશ: મૃતકોના પરિવારજનોને 10 લાખ, તમામ ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા નિર્દેશ
Team VTV01:05 PM, 22 Feb 23
| Updated: 01:38 PM, 22 Feb 23
મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા આદેશ આપ્યો છે.
મોરબી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
તમામ મૃતકોના પરિવારને રૂ.10 લાખ આપવાનો આદેશ
દરેક ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ
મોરબી પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો દરેક ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ ચૂકવવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે.
ઓરેવા ગ્રુપે 3.5 લાખનું વળતર ચૂકવવાની દર્શાવી હતી તૈયારી
ગુજરાત હાઈકોર્ટે અગાઉ અસરગ્રસ્તોને ચૂકવાતા વળતર અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઓરેવા ગ્રુપે મૃતકના પરિવારજનોને 3.5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને એડહોક 1 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે વળતરની આ રકમને અયોગ્ય ગણી હતી. કોર્ટ મિત્રએ પણ કોર્ટમાં કહ્યું હતું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઈએ. હાઈકોર્ટે વળતો સવાલ કરતા પૂછ્યું હતું કે તમને વળતરની રકમ યોગ્ય લાગે છે? સમગ્ર મુદ્દે હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
જયસુખ પટેલ જેલના સળિયાની પાછળ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં ગત 8 ફેબ્રુઆરીએ મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરાયો હતો. જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કંઈ જણાવવામાં આવ્યું નથી. મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદથી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જયસુખને આશરો આપનાર સામે પણ થઈ શકે છે કાર્યવાહીઃ સરકારી વકીલ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.
ચાર્જશીટમાં થયો હતો મોટો ધડાકો
મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું હતું.
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ જારી કરાયું હતું ધરપકડ વોરંટ
આ પહેલા મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી.
વકીલે કરી હતી આગોતરા જામીન અરજી
મોરબી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને અચાનક તેના વકીલે 24મી જાન્યુઆરીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, મોરબીની કોર્ટે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં થયો હતો ધરાશાયી
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.