હિન્દુ ધર્મમાં કાશી વિશ્વનાથ મંદિરનું એક ખાસ સ્થાન છે. અહીં 12 જ્યોતિર્લિંગમાંથી એક શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ છે. માન્યતા છે કે એકવાર આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે. માનવામાં આવે છે કે કાશી ત્રણેય લોકમાં સૌથી અનોખી નગરી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કાશી નગરી ભગવાન શિવના ત્રિશૂળ પર બિરાજમાન છે. કાશી નગરીની ઉત્પત્તિ અને ભગવાન શિવની પ્રિય નગરી બનવાની કથા સ્કંદ પુરાણના કાશી ખંડમાં વર્ણવવામાં આવી છે.
માન્યતા અનુસાર પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું. આના આધારે જ કાશીને જ્ઞાન અને આધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશનિકાલ વખતે શિવજી ઘણા વર્ષો બાદ આ સ્થાને આવ્યા બતા અને થોડા સમય માટે ત્યાં રોકાયા હતા. બ્રહ્માજીએ તેમનું સ્વાગત દસ ઘોડાના રથને દશાશ્વમેઘ ઘાટ પર મોકલીને કર્યું હતું.
કાશીમાં શિવ વિશ્વેશ્વર નામના જ્યોતિર્લિંગમાં નિવાસ કરે છે. કહેવામાં આવે છે કે શિવજીની ઈચ્છા હતી કે તે એકમાંથી બે બની જાય. આ જ કારણે તેમને પોતાને બે ભાગમાં વહેંચી લીધા જેમાંનો એક ભાગ શિવ કહેવાયો અને બીજો શક્તિ. તે સમયે આકાશવાણી થઈ અને તેમને તપસ્યા કરવાની સલાહ આપવામાં આવી. તપસ્યા માટે શિવજીએ પોતાના હાથ વડે પાંચ કોસ લાંબા ભૂભાગ પર કાશીનું નિર્માણ કર્યું અને ત્યાં વિશ્વશ્વર રૂપે બિરાજમાન થયા.
કાશીના વર્તમાન મંદિરનું નિર્માણ મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા 1780માં કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાજા રંજીત સિંહે તેને 1853માં 1 હજાર કિલો શુદ્ધ સોના વડે મઢાવ્યું હતું. કાશી વિશ્વનાથ ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાં સ્થાન પામે છે. દર વર્ષે અહીં કરોડોના ચઢાવા આવે છે.