કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓના વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. જેથી નાની બચત યોજનઓના રોકાણકારોએ યોજના વિશે માહિતી મેળવવી જરૂરી છે.
રિઝર્વ બેંક અને અન્ય બેંક પણ વ્યાજદરોમાં ઘટાડાના પક્ષમાં
વ્યાજદરો પર સમીક્ષા માટેની તારીખ 30 જૂન કરાઈ જાહેર
નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં 0.8-1 ટકા સુધીનો ઘટાડો
સુકન્યા સમૃદ્ધિ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટસ (NSC) અને PPF જેવી નાની બચત યોજનઓનું વ્યાજદર ઘટાડવામાં આવી શકે છે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે, જો એવું થયું તો 1 જુલાઈથી તમામ નાની બચત યોજનાઓ પર ઓછું વ્યાજ મળશે.
નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાની તૈયારી
એક્સપર્ટસનું માનવું છે કે, ગ્રોથની ગતિ પરત મેળવવા માટે આર્થિક અને નાણાકીય બંને પ્રકારના સપોર્ટની જરૂર હોય છે. નાની બચત યોજનાઓનું વ્યાજ દર ઘટાડીને સરકારનો ઉધાર ખર્ચ ઓછો થઈ જશે, તેથી ઈકોનૉમીને સપોર્ટ મળી શકશે. રિઝર્વ બેંક અને અન્ય બેંક પણ વ્યાજદરોમાં ઘટાડાના પક્ષમાં છે.
30 જૂને થશે વ્યાજ દરો પર સમીક્ષા
એક અહેવાલ મુજબ 5 રાજ્યોની વિધાનસભા ચુંટણીથી પહેલા 31 માર્ચે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયને ભૂલ ગણાવી પરત લઈ લીધો હતો. નોંધપાત્ર છે કે સરકારે વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પરત લઈ લીધો હતો, પરંતુ હવે સરકારની આવી કોઈ મજબૂરી નથી. સરકાર દરેક ત્રણ માસની નાની બચત યોજનાઓના વ્યાજ દરોને નક્કી કરે છે. સરકાર દ્વારા વ્યાજ દરો પર સમીક્ષા કરવા માટેની તારીખ 30 જૂન જાહેર કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, જુલાઈથી વ્યાજદાર અંગેની સૂચનાને ફરી જાહેર કરી શકાશે. જો વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવશે તો નાના રોકાણકારોને ભારે નુકસાન થશે.
ચુંટણી સમાપ્ત અને વ્યાજ દરોમાં ઘટાડો શરૂ!
હાલમાં મોટાભાગની નાની બચત યોજનાઓ પર 6.9 ટકાથી વધુ વ્યાજ મળી રહ્યું છે. ઓગસ્ટ 2019થી લઈ હજી સુધી રિઝર્વ બેંકે રેપો રેટમાં 1.75 ટકા ઘટાડો કર્યો છે. જયારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં 0.8-1 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેર રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે,"નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો થવાની સંભાવના છે, કારણકે વિધાનસભા ચુંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે".
કઈ યોજના પર કેટલું વ્યાજ?
સુકન્યા સમૃદ્ધિ સ્કીમ (SSS)પર હાલ 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર 7.4 ટકા, પબ્લિક પ્રૉવિડેંટ ફંડ (PPF)પર 7.1 ટકા, કિસાન વિકાસ પત્ર (KVP)પર 6.9 ટકા, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)પર 6.8 ટકા અને માસિક ઇન્કમ એકાઉન્ટ પર 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.