શહેરમાં વ્યાજખોરોનો ફરી એક વાર આતંક સામે આવી રહ્યો છે વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને લોકો આત્મહત્યા કરે છે અથવા તો ઘર છોડીને જતા રહે છે. શહેરમાં એક પછી એક વ્યાજખોરોની પઠાણી ઉધરાણીના કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ રહ્યા છે.
શહેરમાં વ્યાજખોરોનો વધ્યો આતંક
ત્રણ ટકા વ્યાજે પૈસા અપાવવાનું કહી કોરા ચેકો સિક્યોરિટી પેટે માંગ્યા
રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
વાડજ અને નિકોલમાં વ્યાજખોરો વિરુદ્ધમાં નોંધાયેલા ગુના બાદ ગઇકાલે રાણીપ અને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે. રાણીપમાં વ્યાજખોરોએ મકાન પચાવીને દાગીના પડાવી લીધા છે ત્યારે રામોલમાં વ્યાજ ભરનાર યુવક ઘર છોડીને જતો રહ્યો છે.
ત્રણ ટકા વ્યાજે પૈસા અપાવવાનું કહી કોરા ચેકો સિક્યોરિટી પેટે માંગ્યા
રાણીપમાં રહેતા છગનલાલ સેન હેરઆર્ટની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. ચાર પાંચ વર્ષ પહેલાં તેઓને ધંધામાં મંદી આવતાં તેમની દુકાને આવતા ભરતભાઇ મોદીને વાત કરી હતી. જેથી ભરતભાઇએ ત્રણ ટકા વ્યાજે પૈસા અપાવવાનું કહી કોરા ચેકો સિક્યોરિટી પેટે માંગ્યા હતા. પણ બેન્કમાં ખાતું ન હોવાથી 100 ના સ્ટેમ્પ પર તેમણે દુકાનનું લખાણ કરી આપી ત્રણ લાખ લીધા હતા, બાદમાં સામાજિક પ્રસંગો અને દીકરીઓનાં લગ્ન આવતાં છગનલાલે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું ત્રણ વર્ષ સુધી 16.20 લાખ રૂપિયા મૂડી અને વ્યાજ ચૂકવ્યું હતું.
ભરત નામના શખ્સે મકાન પણ લખાવી લીધું
જોકે, બાદમાં ભરત નામના શખ્સે મકાન પણ લખાવી લીધું હતું. અને એક દિવસ આ મકાનનું ભાડું નક્કી કરી માલિકને જ ભાડુઆત બનાવી દીધા હતા. બાદમાં ભાડું ન ચૂકવાતા છગનભાઇના પરિવારને ઘરમાંથી કાઢી મૂકવા ભરત મોદી અને તેનો પુત્ર તથા એક મહિલા ઘરમાં ઘૂસી ગયા અને માલ સામાન ખાલી કરી દાગીના પચાવી પાડ્યા હતા. આખરે છગનભાઇ પાસે રહેવાની જગ્યા ન રહેતાં તેમણે પોલીસનો સહારો લેતાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરીની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં લખાઇ
બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રથમ એવન્યુમાં રહેતા ઉમેદભાઇ પ્રજાપતિએ વનરાજસિંહ દરબાર, અજય પંચાલ અને રોનક પંડ્યા વિરુદ્ધમાં વ્યાજખોરીની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં કરી છે. ઉમેદભાઇના 19 વર્ષિય પુત્ર કૌશલ ગુજરાત કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે અને જિલ્લા પંચાયતની કચેરીમાં ખાનગી ઓપરેટર તરીકે નોકરી કરે છે. કૌશલે વનરાજસિંહ દરબાર, અજય પંચાલ અને રોનક પંડ્યા પાસેથી 40 હજાર રૂપિયા દસ ટકા વ્યાજ પર લીધા હતા. સમયસર વ્યાજ નહીં આપી શકતા વ્યાજખોરોએ કૌશલ પાસેથી 2.80 લાખ રૂપિયાની ઉધરાણી કરી હતી.
પઠાણી ઉધરાણી કરી અને હાથપગ તોડી નાંખવાની આપી ધમકી
ત્રણેય વ્યાજખોરો કૌશલના ઘરે જઇને પઠાણી ઉધરાણી કરી હતી અને હાથપગ તોડી નાખવાની ધમકી આપી હતી. મોડી રાત સુધી કૌશલ અને તેના પરિવારજનો બેસીને વાતચીત કરતા હતા અને ત્યારબાદ સુવા માટે ગયા હતા. વહેલી સવારે કૌશલ ઘરે મળી નહીં આવતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ઉમેદભાઇને કૌશલના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને જતો રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રામોલ પોલીસે ત્રણેય વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને કૌશલને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.