દિલ્હીના શાહીનબાગમાં સીએએના વિરોધ દરમિયાન જે હિંસક ઘટનાઓ બની તેવી ઘટનાઓ અમદાવાદમાં બને તેવી શક્યતાઓ ઇન્ટેલિજન્સ બ્યૂરો તેમજ સુરક્ષા એજન્સીઓએ આપતાં પોલીસ એલર્ટ થઇ ગઇ છે. મોડી રાત્રે શાહપુર વિસ્તારમાં અસામાજિક તત્વો તોફાન કરાવે તેવી શંકાને લઈ પોલીસ સક્રિય થઇ છે.
આઈબીનાં ઈન્પુટના પગલે પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ કર્યું હતું
અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્ત્વો તોફાનો કરાવવાની ફિરાકમાંઃ IBનું અલર્ટ
દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ દરિયાપુરના લીમડીચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં હતાં. શાહીનબાગ જેવી હાલત અમદાવાદના વિસ્તારમાં થાય નહી તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
શાહપુર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં એરએએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને ઠેરઠેર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જ્યારે સ્થાનિકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.
કેટલાક તોફાની તત્વોનો શહેરની શાંતિ ડહોળવાનો પ્લાન
શહેરના અતિસંવેદનશશીલ વિસ્તાર ગણાતા શાહપુર દરિયાપુર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ બને તેવા ઇનપુટ પોલીસ પાસે છે. કેટલાક તોફાની તત્ત્વો સીએએના વિરોધની આડમાં શહેરની શાંતિ ડહોળવા માગતા હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી છે. જેના કારણે શહેરમાં કોઇ બનાવ બને નહીં અને કોમી જૂથ અથડામણ થાય નહીં તે માટે પોલીસ સતર્ક બની છે.
‘ગદ્દારોને ગોળી મારો’ના સૂત્રોચ્ચાર
બીજી તરફ સીએએના સમર્થનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેતૃત્વમાં ગઇ કાલે બપોરે ઇન્કમટેક્સથી રેલી યોજાઈ હતી. અલગ અલગ સંગઠનોના અગ્રણીઓ સાથે આ રેલી સુભાષબ્રિજ પહોંચી હતી, જ્યાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના નામે કલેક્ટરને સમર્થન પત્ર આપ્યું હતું. આ રેલીમાં ‘ગદ્દારોને ગોળી મારો’ના સૂત્રોચ્ચાર સાથે રેલી બાદ ગદ્દારો લખેલાં પૂતળાંનું દહન કરાયું હતું.