શું તમે જાણો છો કે તમારી ટ્રેન ટિકિટ તમને 1 રૂપિયાથી ઓછી કિંમતમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે.
બે ટ્રેન ઓડિશાના બાલાસોરમાં પાટા પરથી ઉતરી ગઈ હતી
ટ્રેન ટિકિટ બુકિંગ પર મુસાફરોને 10 લાખ રૂપિયાનો વીમો મળે
ટિકિટ બુક કરાવતી વખતે વિકલ્પ પસંદ કરવો પડશે
શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અને બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી એકસાથે ટકરાઈ હતી. ઓડિશામાં આ ભયાનક અકસ્માતમાં લગભગ 300 લોકોના મોત થયા છે, 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. રેલવેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ટ્રેન ટિકિટ તમને 1 રૂપિયાથી ઓછી કિંમતમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે.
ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પર મુસાફરોને 10 લાખ રૂપિયાનો વીમો મળે છે. જ્યારે તમે IRCTC થી ઓનલાઈન ટિકિટ બુક કરો છો, ત્યારે તમને 1 રૂપિયાથી ઓછી કિંમતમાં ટ્રેન મુસાફરી વીમાનો વિકલ્પ મળે છે. આ વીમો મેળવવા માટે તમારે ટિકિટ બુક કરાવતી વખતે વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે વીમા વિકલ્પ પસંદ કરો છો તો જ તમે આ વીમો મેળવવા માટે હકદાર બનો છો.
ટિકિટ પર આ વીમો લેવો શા માટે જરૂરી છે
જો તમે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે વીમાની પસંદગી કરો છો, તો તમને મુસાફરી દરમિયાન 10 લાખ સુધીનું કવર મળે છે. કમનસીબ ટ્રેન અકસ્માતના કિસ્સામાં, તબીબી ખર્ચાઓ અને મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને વળતર આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ વીમા કવચ હેઠળ જો કોઈ યાત્રી ભારતીય રેલવે અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા કાયમી ધોરણે વિકલાંગ થઈ જાય છે, તો તેને અથવા તેના પરિવારને 10 લાખ રૂપિયા સુધીની વીમા રકમ આપવામાં આવે છે. જો મુસાફર આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 7.5 લાખ રૂપિયાનું વળતર મળે છે. બીજી તરફ, ગંભીર ઈજાના કિસ્સામાં, મુસાફરને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. અકસ્માતમાં સામાન્ય ઇજાના કિસ્સામાં મુસાફરને 10,000 રૂપિયા સુધીનું વળતર મળે છે.
ટ્રેન ટિકિટ પર વીમો કેવી રીતે મેળવવો
જો તમે IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરો છો, તો તમને આ વિકલ્પ મળશે. આ સુવિધા માત્ર ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. ટિકિટ બુક કરતી વખતે નીચે વીમો પસંદ કરવાનો વિકલ્પ છે. તમે તેને ટિક કરીને પસંદ કરી શકો છો. SBI જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ અને લિબર્ટી જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડ ભારતીય રેલ્વે વતી આ મુસાફરી વીમો પ્રદાન કરે છે.
કેવી રીતે દાવો કરી શકે છે
આ વીમાનો દાવો કરવા માટે તમને 4 મહિના સુધીનો સમય મળે છે. તમે ટિકિટ સાથે જે વીમા કંપનીનો વીમો મેળવ્યો છે તેની ઑફિસમાં જઈને તમે વીમા માટે દાવો દાખલ કરી શકો છો. અહીં એક વસ્તુ જે સૌથી મહત્વપૂર્ણ છે તે એ છે કે વીમા પસંદ કર્યા પછી, તમારે નોમિનીનું નામ ભરવું આવશ્યક છે. નોમિનેશન ભરવાથી દાવાની પ્રક્રિયા સરળ બને છે.