અમદાવાદના નરોડામાં રહેતી યુવતીએ સાસરિયાં સાથે બનેલો અણબનાવ દૂર કરવા ઇન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષીએ વિધિ કરવાના બહાને યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂપિયા લઈ ઠગાઈ આચરી હતી.
આજનો યુગ એ ૨૧મી સદીનો કહેવામાં આવે છે, જ્યાં રોજબરોજ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક નવાં નવાં ઇનોવેશન થતાં હોય છે, પરંતુ આપણા દેશના લોકો આજે પણ અંધશ્રદ્ધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે અને આ બહાને ઠગ ટોળકીઓ લોકો સાથે છેતરપિંડી પણ કરતી હોય છે. આવી એક ઘટના કે જેમાં લોકોની આંખ ઉઘાડતો અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે,
નરોડાની હુકસિંહની ચાલીમાં રહેતી વીસ વર્ષીય મુસ્કાનબાનુ મલેકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મુસ્કાનબાનુએ સામાજિક રીત- રિવાજ મુજબ વર્ષ ર૦ર૧માં જુહાપુરામાં રહેતા મોઈનખાન પઠાણ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ ર૦ર૧માં મુસ્કાનબાનુને સાસરિયાં સાથે અણબનાવ બન્યો હતો, જેથી તે બધું સરખું થઇ જાય અને પરિવાર સાથેનો અણબનાવ દૂર થઇ જાય તે માટે ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરતી હતી.
યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી જ્યોતિષીનો સંપર્ક કર્યો: આ સમયે મુસ્કાનબાનુએ ઇન્સ્ટાગ્રામ પરથી અમરદીપ જ્યોતિષ નામના એકાઉન્ટ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મુસ્કાનબાનુને અમરદીપ જ્યોતિષ નામના શખ્સે તેનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ અમરદીપ જ્યોતિષ નામના એકાઉન્ટધારકે મુસ્કાનબાનુને પોતાનું નામ વિશાલ હોવાનું જણાવ્યું હતું.
તેણે કહ્યું કે પરિવારમાં બનેલાે અણબનાવ દૂર કરવા માટે વિધિના બાર હજાર થશે, જેથી મુસ્કાનબાનુએ કહ્યું કે મારી પાસે હાલ સાત હજાર રૂપિયા રોકડા છે અને બીજા રૂપિયા પાછળથી આપીશ. મુસ્કાનબાનુએ આમ કહેતાં વિશાલે કહ્યું કે સાત હજાર રૂપિયા મારો માણસ આવશે તેને આપી દેજો, તમારું કામ થઇ જશે અને વિધિ શરૂ કરી દઈશું.
જ્યોતિષીએ વિધિના બહાને રૂપિયા માગ્યા
ત્યારબાદ તા. ર૧-૦૮-ર૦ર૧ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ વિશાલે મુસ્કાનબાનુને ફોન કરીને કહ્યું કે નરોડા એસટી વર્કશોપના ગેટ પાસે જે માણસ ઊભો છે તેને રૂપિયા આપી દેજો, જેથી મુસ્કાનબાનુએ સાત હજાર રૂપિયા આપી દીધા હતા. આ જ દિવસે રાતે વિશાલે મુસ્કાનબાનુને ફરી ફોન કરીને કહ્યું કે તમારાં ઘરેણાંમાં મેલી વિદ્યા થઇ છે તો ઘરેણાં પર પણ વિધિ કરવી પડશે, જેથી કાલે મારો માણસ આવશે અને ઘરેણાં લઈ જશે.
વિધિ નિષ્ફ્ળ ગઈ હોવાનું કહી જ્યોતિષીએ દાગીના માગ્યા
બીજા દિવસે મુસ્કાનબાનુએ કાનનાં અડધા તોલાનાં સોનાનાં બે એરિંગ, એક સોનાની વીંટી વિશાલના માણસને આપી દીધાં હતાં. ત્યારબાદ વિશાલે મુસ્કાનબાનુને કહ્યું કે તમારા કામ માટે જે વિધિ કરી હતી તે નિષ્ફ્ળ ગઈ છે, આથી તમારે વધુ ૩પ હજાર રૂપિયા આપવા પડશે. જ્યોતિષીએ આમ કહેતાં મુસ્કાનબાનુએ કહ્યું કે આટલી મોટી રકમ મારી પાસે નથી. થોડા સમયમાં રકમ ભેગી કરીને આપીશ.
યુવતીએ વિશ્વાસ કરી વધુ રૂપિયા જ્યોતિષીને આપ્યા
મુસ્કાનબાનુએ અલગ અલગ તારીખે ટુકડે-ટુકડે વિશાલના ખાતામાં ૩૩ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. વિશાલ અવારનવાર મુસ્કાનબાનુ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવીને વિધિ કરવાના બહાને ખોટા વાયદા કરતો હતો. ત્યારબાદ વિધિ ચાલુ છે એમ કહીને તેનો વધુ રૂપિયા પડાવવાનો ઈરાદો હતો, પરંતુ મુસ્કાનબાનુને વિશાલ પર શંકા ગઈ હતી. મુસ્કાનબાનુને જાણ થઇ કે વિશાલ અને તેના સાગરીતે ભેગા મળી કાવતરું રચી તેની પાસેથી રૂપિયા તેમજ દાગીના પડાવી લીધા છે. આથી મુસ્કાનબાનુએ નરોડા પોલીસ સ્ટેશનમાં ઢોંગી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.