રાજ્યસભાની ચૂંટણી આડે માંડ 2 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેમાંથી રાજીનામું આપનાર બ્રિજેશ મેરજા ભાજપ જોઈન કરશે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે એવો સવાલ ઉઠે કે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ કેમ છોડ્યુ? કારણ કે ખુદ CM વિજય રૂપાણી VTV સાથેના ઇન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે કે, મેરજા પૈસા લે એવો માણસ નથી. તો શું મેરજાને મંત્રીપદ ઓફર થયું છે કે પછી આ તમામ મામલામાં કારણ કંઈક બીજુ જ છે?
જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અચાનક રાજીનામું આપી દીધુ ત્યારે પક્ષ સહિત તમામ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. કારણ કે પક્ષ માટે આ સમાચાર આઘતજનક હતા અને મેરજાના સમર્થકો તેમજ તેના માટે કામ કરતા કાર્યકર્તાઓને પણ આ નિર્ણયથી ધક્કો લાગ્યો હતો.
દર વખતની જેમ આ વખતે પણ મેરજા પર એ જ આરોપો લાગી રહ્યા હતા કે મેરજાએ રાજ્યસભા ઈલેક્શન પહેલા પૈસા માટે રાજીનામું આપ્યુ છે. પણ આ મામલે કંઈક રંધાઈ રહ્યુ હોવાની પણ ચર્ચા થઈ રહી હતી કારણ કે, મોરબી સિરામિકનું હબ છે એમાં મેરજાનો પડ્યો બોલ ઝીલાતો હતો તો પછી મેરજાએ કેમ રાજીનામું આપ્યું?
બ્રિજેશ મેરજાનું પક્ષ છોડવાનું કારણ આ હતુ
રાજનૈતિક સૂત્રોનું માનીએ તો પૈસા અને અસંતોષને કારણે મેરજાએ રાજીનામું નથી આપ્યું પણ આ પાછળ કારણ કંઈક ઔર જ છે. અને એ કારણ છે બ્રિજેશ મેરજાના ભાઈ રમેશ મેરજા. રમેશ મેરજા ખેડા જિલ્લાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર છે. રમેશ મેરજા સિનિયર એડિશનલ કલેક્ટર લેવલના ઓફિસર છે અને તેમને IAS કેડર માટેના નોમિનેશનની પ્રોસેસ ચાલુ છે. પણ તેમની સામે તપાસ ચાલી રહી છે. જો તે આ તપાસમાંથી સાંગોપાંગ બહાર ન આવે તો તેમનું નામ UPSCને મોકલવામાં ન આવે અને ભારત સરકાર તેમને IAS કેડરમાં નોમિનેશન ન આપે.
આવામાં રમેશ મેરજાના પ્રમોશન માટે થઈને એક ડિલ કરવામાં આવી હોવાનો ગણગણાટ છે જે મુજબ રમેશ મેરજા સામેની ઈન્કવાયરી અચાનક જ અટકાવી દેવામાં આવી છે. તેમની સામે લાગેલા તમામ ચાર્ઝીસ હટાવી દેવાયા છે અને તેમને IAS માટે નોમિનેટ પણ કરી દેવામાં આવ્યા છે. રાજનૈતિક સૂત્રો દ્વારા VTVને જાણવા મળ્યું હતુ કે બ્રિજેશ મેરજાના કોંગ્રેસમાંથી રાજીનામાં માટે આ કારણ જવાબદાર છે. રમેશ મેરજા દ્વારા બ્રિજેશ મેરજાનો ખેલ પાડી દેવામાં આવ્યો હોવાનું ગાંધીનગરના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ.
મેરજાએ મંત્રી પદ અને ભાઈના પ્રમોશન માટે કોંગ્રેસ છોડ્યુ કે શું?
ચર્ચા એવી પણ છે કે, બ્રિજેશ મેરજાએ મંત્રી પદ પણ માંગ્યુ છે. એટલે આવામાં સવાલ એ થાય છે કે શું મેરજાએ મંત્રી પદ અને ભાઈના પ્રમોશન માટે કોંગ્રેસ છોડ્યુ કે શું? ઉલ્લેખનીય છે કે VTV સાથેના ઈન્ટરવ્યુમાં CM વિજય રૂપાણી બોલ્યા હતા કે, બ્રિજેશ મેરજા પૈસા લે એવો માણસ નથી. તો સવાલ એ ઉઠે કે શું પૈસાને બદલે આ ડિલ હોઈ શકે? જો કે જવાબ તો આવનારો સમય જ બતાવી દેશે.