રાજ્યના એક ટોચના નિવૃત્ત અધિકારીની હાલમાં ભ્રષ્ટાચારના આરોપમાં સેન્ટ્રલ એજન્સી હેઠળ તપાસ થઇ રહી છે તેવી ચર્ચા હાલ રાજ્યના સરકારી વર્તુળોમાં ફેલાઈ છે.
ગાંધીનગર સચિવાલય અને દિલ્હીમાં ચાલી રહેલી ચર્ચા આધારે એક પૂર્વ સિનિયર અધિકારી જે CM રૂપાણીના ખૂબ નજીકના ગણાતા હતા તેઓ અત્યારે ટોચની સેન્ટ્રલ એજન્સીના તપાસના રડારમાં છે. એજન્સીને આ અધિકારી સામેની આક્ષેપો મુદ્દે ઇન્ક્વાયરી કરવાનું કહેવામાં આવ્યું છે તેવી ચર્ચા ચાલી રહી છે.
ભૂતકાળમાં પણ આ અધિકારી સામે ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપો થયા છે
નોંધનીય છે કે ભૂતકાળમાં પણ આ અધિકારી સામે ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપો થયા છે. રસપ્રદ વાત તો એ છે કે જ્યારથી આ અધિકારી નિવૃત્ત થયા છે ત્યારથી તેઓ ચૂપચાપ રાજ્ય છોડીને જતા રહ્યા છે જ્યાં તેઓ કોઈના સંપર્કમાં રહેતા નથી કે નથી કોઈને મળી રહ્યાં.
CM પોતે તેમને રિટાયરમેન્ટ પછી પોસ્ટિંગ આપવાની ઈચ્છા રાખતા હતા: સુત્રો
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને કોઈ રિટાયરમેન્ટ પછીનું પોસ્ટિંગ ઓફર કરવામાં પણ આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓએ રિટાયરમેન્ટ પછી પોસ્ટિંગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને CM પોતે તેમને પોસ્ટિંગ આપવાની ઈચ્છા રાખતા હતા પણ દિલ્હીથી આ મુદ્દે કોઈ મચક મળી ન હતી.
ગાંધીનગરના એક નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર આ અધિકારી સામે ઈન્ક્વાયરી ચાલી રહી છે તેવા કોઈ સત્તાવાર સમાચાર નથી મળ્યા પણ આ મુદ્દે પ્રક્રિયા ચાલી રહી છે તેવી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓમાં પાક્કા પાયે ચર્ચા ચાલી રહી છે.