ગાંધીનગરઃ અનામત....એક એવો શબ્દ...જે દરેક રાજકીય પક્ષ માટે સૌથી મોટું હથિયાર છે. ચૂંટણી આવે અને અનામતનો મુદ્દો ન ઉઠે તો જ નવાઈ. 2019ના ભણકારા વાગી રહ્યા છે એ પૂર્વે કોંગ્રેસે ફરી એકવાર અનામતનો રાગ છેડી દીધો છે. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માગ કરીને એક નવો જ રાજકીય વિવાદ છેડી દીધો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન
બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામત આપોઃ ચાવડા
ગુજરાતમાં 52 ટકા વસ્તીવાળા OBC સમાજ સાથે અન્યાયઃ ચાવડા
OBC સમાજ માટે અલગથી 27 ટકા બજેટની જાહેરાત કરોઃ ચાવડા
પાટીદાર અનામત આંદોલનની આ આગ હજી માંડ શાંત પડી છે. ત્યાં જ કોંગ્રેસે રાજ્યમાં અનામતના નામે નવો જ દાવ ખેલી લીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં અનામતની નવી જ માંગ કરવામાં આવી છે. અહીં સુધી તો ઠીક હતું પરંતુ અમિત ચાવડા બિન અનામત વર્ગ એટલે કો જનરલ કેટેગરી માટે 20 ટકા અનામતની માગ કરી રહ્યા છે.
અમિત ચાવડાના નિવેદનને હાર્દિકનું સમર્થન
કોંગ્રેસના ધારાસભ્યોને વિંનતી કે દરરોજ આ મુદ્દો ગૃહમાં ઉઠાવે: હાર્દિક
ઘઉ ચોંખા અને કેરોસિનની માંગ નથી કરતાઃ હાર્દિક
સમાજના ઉજ્જવળ ભવિષ્યની માંગ કરી રહ્યા છેઃ હાર્દિક
સ્વાભાવિક છે કો કોંગ્રેસનો અનામતનો આ નવો દાવ 2019ની રણનીતિનો જ ભાગ છે. આ એજ કોંગ્રેસ છે જેણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો ઠાકોરો અને દલિતોને એક મંચ ઉભા કર્યા અને અનામતની આગમાં પોતાના રોટલા શેક્યા. જયારે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી આ ત્રણેય નેતાઓ અનાતમને લઈને જુદા જુદા હિતો ધરાવતા હતા. પરંતુ જ્યારે રાજકારણની વાત આવે છે. ત્યારે વિરોધીઓને હરાવવા દુશ્મન પણ હાથ મિલાવી લેતા હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કંઈક આવું જ બન્યું. જેનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો. ત્યારે કોંગ્રેસ 2019ને ધ્યાનમાં રાખીને અનામતની આ આગમાં ફરી ઘી હોમવાનું શરૂ કરી દીધું છે.
અમિત ચાવડાના નિવેદન બાદ રેશ્મા પટેલની પ્રતિક્રિયા
આર્થિક અનામત મામલે ભાજપ સરકારે ઘણુ આપ્યુ: રેશ્મા
આર્થિક અનામત બંધારીણય રીતે શક્ય નથીઃ રેશ્મા
ગુજરાત કોંગ્રેસ અનામતની જે આગને હવા આપી રહી છે એ આગામી સમયમાં મોદી સરકાર માટે મોટી મુસિબત બની શકો છે. કારણ કે અનામતને લઈને રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને ભીંસમાં છે. રૂપાણી સરકારે અનામત આંદોલનને શાંત પાડવા પાટીદારો સામે નમતું જોખ્યું. અને તેમની માંગણીઓ સ્વીકારી લીધી હતી. ત્યારે હવે સરકાર પર દબાણ લાવવા માટે બિન અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ પહેલા જ બિન અનામત વર્ગને અનામત આપવાનો ઇનકાર કરી ચૂક્યાં છે. આ તરફ પાટીદારોને અનામત આપવા મુદ્દે જ સરકાર અવઢવમા છે. તો આ તરફ અન્ય રાજ્યો જેવા કો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રાજસ્થાનમાં ગુર્જર આંદોલન અને હરિયાણામાં જાટ અનામત. અનામતની યાદી આટલેથી અટકતી નથી. મોદી સરકારે OBC અનામત પ્રથામાં ફેર વિચારણા માટે નવા પંચની રચના પણ કરી છે જે અંતર્ગત OBC અનામતમાં જ અન્ય વર્ગોને અનામત આપી શકાય કો કોમ? તેની ફેર વિચારણા કરવામાં આવી રહી છે.
અનામતને લઈને પહેલા જ રાજ્ય અને કેન્દ્ર સામે અનેક અડિંગા છે હવે કોંગ્રેસ બિન અનામત આંદોલનનો રાગ આલાપીને રાજ્ય અને કેન્દ્ર સરકારને વધુ એક મોર્ચે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બિન અનામતો માટે અનામતની આ લોલીપોપ દ્વારા કોંગ્રેસ સમાજના એ વર્ગોને આકર્ષિત કરવામાં માગે છે કે જે ખરેખરમાં OBC અને અન્યોની અનામતના વિરોધી છે. જો કોંગ્રેસ તેના આ દાવમાં સફળ રહી તો અનામત સામે અનામતનો આ જંગ કોંગ્રેસને ગુજરાત વાયા દિલ્હી જવામાં મદદરૂપ બની શકો છે.