કીડીખાઉ એ કુદરતી પેસ્ટીસાઈડનું કામ કરે છે. કુદરતની પોષણકડીનું એક મહત્વનું અંગ કીડિખાઉ પણ છે. પંચમહાલના લૂણાવાડાના ગોધરા હાઈવે પરથી કીડીખાઉ નામનું પ્રાણી મળી આવ્યું છે. કીડીખાઉ નામનું પ્રાણી ઘાયલ અવસ્થામાં મળી આવ્યું છે. નામશેષ થવાના આરે આવેલુ પ્રાણી ઘાયલ અવસ્થામાં મળી આવતા લોકોએ વનવિભાગના કર્મીઓને જાણ કરી હતી. જાણ કરાતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઘાયલ કીડીખાઉને સારવાર હેઠળ પહોચાડાયું હતું.
કીડીખાઉ પોષણ કડીનું એક મહત્વનુ અંગ છે
ભારતમાંથી ચીનમાં કીડીખાઉની તસ્કરી થાય છે
ગુજરાતમાં પણ કીડીખાઉનો છે વસવાટ
કીડીખાઉના આખા શરીર ઉપર સખત ભીંગડાનું કવચ ધરાવે છે. ભારતીય કીડીખાઉ-શલ્વો, પેન્ગોલીન સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. જોકે તે નિશાચર પ્રાણી હોવાથી તે ભાગ્યે જ જોવા મળે છે. તેના આખા શરીર ઉપર સખત ભીંગડા હોય છે જે તેના માટે રક્ષણાત્મક કવચનું કાર્ય કરે છે. કીડીખઆઉનો મુખ્ય આહાર તેના નામ પ્રમાણે કીડી અને ઉધઇ છે. પેંગોલીન એ જમીન માટેનું કુદરતી ખાતર અને ઉધઈ નિયંત્રણ કરનાર છે તે કીડી ઉધઈ સહિતની જીવાત ખાય છે. તેની જાળવણી કરવાના બદલે તેનો ખાત્મો બોલાવાય છે. પુખ્ત વયનું એક પેંગોલીયન એક વર્ષમાં 70 મીલીયન જેટલા જીવાણુ જાપટી જાય છે.
દિવસે આરામ રાતે કામ
તેની 25 સેમી લાંબી જીભ ઉપર ચીકણો સ્ત્રાવ હોય છે જેની મદદથી તે ઉધઇને તેના રાફડા-દરમાંથી ખેંચી કાઢે છે. તેના આગલા પગના પંજાના લાંબા નહોરની મદદથી તે દર-બખોલને ઝડપથી ખોદી શકે છે અને તે દરમાં જ દિવસભર આરામ કરે છે અને રહે છે
ગુજરાતથી વાયા કલકત્તા કીડીખાઉની થાય છે તસ્કરી
દર વર્ષે 25,000 જેટલા પેંગોલીયનની કતલ કરીને કોલકત્તા કે ચેન્નાઇના માર્ગે ચીન મોકલી આપવામાં આવે છે. જંગલી પશુઓના અંગોના ધંધા માટે કોલકત્તા 'હબ' બની ગયું છે. કોલકત્તાથી ગેરકાયદે પક્ષીઓ, કાચબા તેમજ નાના પ્રાણીઓને દેશભરમાંથી લાવીને વેચાય છે. તેમને કન્ટેનરમાં મોકલાય છે અને કસ્ટમ ઓફિસરને લાંચ આપીને કન્ટેનર ક્લીયર કરાય છે. સ્ટાર અને ફ્રેશ પાણીમાં રહેતી માછલી, કાચબાને પણ આ માર્ગથી જ બહાર મોકલાય છે. પ્રાણીઓના અંગો મોકલતું એક હબ ચેન્નાઇ પોર્ટ પણ છે જ્યાંથી દરિયાઇ પ્રાણીઓ જેવાં કે સી હોર્સ, શાર્ક ફીન્સ સહિતના જીવો લાખોની સંખ્યામાં સિંગાપુર, ચીન અને હોંગકોંગ મોકલાય છે.
કીડીખાઉ શું છે?
આ સસ્તન પ્રાણી બિલાડી કરતા થોડું મોટું હોય છે. તે કોઇને નુકસાન નથી કરતું અને મિત્રો બનાવી શકે છે. ઈન્ડીયન પેંગોલીયનને દાંત નથી હોતા. તે કીડાખાઉ જાનવર છે. તે ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાનના પર્વતીય વિસ્તારોમાં મળી આવે છે. કીડી અને ઉધઇ ખાતો આ જીવ કોઇનો સામનો કરી શકતું નથી. કીડીખાઉ રોજની 25000થી 30000 કીડી ખાય તો માંડ માંડ તેના શરીરનું ઉષ્ણતામાન 32.5 અંશ જેટલું જળવાઈ રહે.
કીડીખાઉ દરરોજ 16 કલાક ઊંઘે છે
કીડીખાઉને દાંત હોતા નથી, કારણ કે કીડીને ચાવવી પડતી નથી. તેને આશરે બે ફૂટ લાંબી જીભ હોય છે, જીભ ચીકણી હોય છે અને પાછળની બાજુએ વળેલા ઝીણાં કાંટા હોય છે. કીડીના રાફડામાં લાંબી જીભ નાંખીને જીભને આગળ પાછળ ફેરવે છે જેથી કીડીઓ જીભ પર ચોંટી જાય છે. જો કે અસંખ્ય કીડીઓ ખાવા છતાં ખાસ પોષકતત્ત્વો મળતાં નથી. આ પ્રાણી આળસુ છે. આશરે દરરોજ 16 કલાક ઊંઘે છે. તેની ચાલ પણ ધીમી હોય છે તેથી વધુ કેલરી વપરાતી નથી.
હુમલો થાય એવો સંકેત મળતાં જ કીડીખાઉ બોલની જેમ ગોળ આકારનું બની જાય છે. જ્યારે તે પોતાના પગ પર ઊભું થાય ત્યારે ચાર ફૂટ લંબાઇનું લાગે છે. તે આગળ વધવા આગલા બે પગનો ઉપયોગ કરે છે. તે કાદવમાંથી કે કચરા કે માટીના ઢગલામાંથી પોતાના લાંબા જડબા મારફતે શિકાર શોધી લે છે. કીડીખાઉનું મોઢું કોન આકારનું હોય છે. તેની નાની કાળી આંખો હોય છે. તેને લાંબુ નાક પણ હોય છે. લાંબી ચીકણી જીભથી તે શિકારને પકડીને ગળી જાય છે. શિકાર કરવાનો ના હોય ત્યારે તેની જીભ શરીરની અંદર ચેસ્ટના ભાગમાં પડી રહે છે.
કીડીખાઉના જુદા જુદા છે નામ
પેંગોલીયનના શરીરની બીજી ખાસીયત એ છે કે તેના શરીર પરનું વધુ એક આવરણ તેનો ફેસ તેમજ આગળનો ભાગ ઢંકાઇ જાય છે. જોકે પેટનો ભાગ ઢંકાતો નથી. તેલુગુમાં તેને આલાવા, વોલુસુ પંડી કે નેલા છેપા કહે છે. કેરળમાં તેને એનાપછી કહે છે. તમિળમાં અલનાગુ, ઓહિયામા બમ્સગવતા કહે છે. કન્નડમાં આલાવી કે છીટયુ હંડી કહે છે. બંગીલામાં બામ્રા કીટ, બામ્રા કપ્તા, સૂરજ મુખી, સીસુ, લાલ સાલા કહે છે. સિંહાલામાં તેને કાબેલવા કહે છે.
ઔષદ્ય તરીકે વપરાય છે અંગો
ચામડાના બુટ તેમજ ફેશનની ચીજો બનાવવા શિકારીઓ છેલ્લા 20 વર્ષથી પેંગોલીયનનો શિકાર કરતા આવ્યા છે. કેન્સર, સોરાઇસીસ, વજન ઘટવું, દમ જેવી બિમારી માટે તેના અંગોમાંથી દવા બનાવાય છે એટલે ચીન તેમજ વિયેટનામ મોકલી અપાય છે. તેના સ્કેલ્સ (ભીંગડા)માંથી ઔષધી બનાવાય છે. તમિળનાડુ, ઓરિસા, કેરળના આદિવાસીઓ દવા બનાવી જાણે છે. ઈન્ડીયન પેંગોલીયનની ભારતમાંથી મોટાપાયે હેરાફેરી થાય છે એમ વિશ્વમાં પણ તેનું નામ ટોપ પર છે. ભારતમાં તેના શિકારીઓ તેમને માટીના કાદવમાંથી શોધી કાઢે છે. આ માટે ખાસ શિકારીઓ હોય છે.
વિશ્વભરમાંથી 21 મહિનામાં 22000 કીડીખાઉનું કાસળ કાઢ્યુ
ચીન દેશની અંદર દાણચોરી પર પ્રતિબંધ મૂક્યો છે પણ પેંગોલીયન તેમાંથી બાકાત છે. બુંદા પ્રકારના પેંગોલીયન જાતિ અદ્રશ્ય થઈ રહી છે. આફ્રિકામાં પણ પેંગોલીનની મોટી ડિમાન્ડ છે. છેલ્લા 21 મહિનામાં ગુનેગારોએ 22000 જેટલો પેંગોલીયનને મારી નાખ્યા હતા એમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાઇલ્ડ લાઇફ રીસર્ચના અહેવાલમાં જણાવ્યું છે.
કીડીખાઉના પાર્ટ્સ પોસ્ટલ કરાતા હતા
પોસ્ટના પાર્સલ મારફતે પ્રાણીઓના અંગો મોકલનાર પકડાયા ત્યારે પાર્સલમાંથી એક ટન જેટલા ભીંગડા (પ્રાણીઓના શરીર પરના સ્કેલ્સ) મળી આવ્યા હતા. એક ટન ભીંગડા મેળવવા 1660 પ્રાણીઓનો ખાત્મો બોલાવાયો હશે એમ મનાય છે.
વર્ષે 81,250 જેટલા કીડીખાઉને મારી નંખાય છે
2013ના વર્ષમાં 8125 કીડીખાઉને ગેરકાયદે રીતે 13 દેશોમાં મોકલાયા હતા. ગેરકાયદે થતી પ્રાણીઓની હેરાફેરીમાં તો માત્ર 10 ટકા પ્રાણીઓ જ પકડાય છે. એક વર્ષમાં 81250 જેટલા પેંગોલીનને મારી નખાયા હતા. હોંગકોંગમાં પકડાયેલા ત્રણ પાર્સલમાં ત્રણ ટન જેટલા આફ્રિકન પેંગોલીયનના અવશેષો મળ્યા હતા.
દેશભરમાં 3350 કીડીખાઉની હત્યા થઈ
વિએટનામ લઈ જવાતા કીડીખાઉના ભીંગડાનો 50 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પેરિસના એરપોર્ટ પરથી 16 ટન પેંગોલીયન અને એક ટન ભીંગડા મળી આવ્યા હતા. 2009-2016ના રીપોર્ટમાં જણાવાયું છે કે, દેશભરમાં 3350 કીડીખાઉની હત્યા થઈ છે. 2002માં ઇન્ડોનેશિયાથી 49,662 પેંગોલીયનની દાણચોરી થઈ છે.
દર કલાકે એક કીડીખાઉ મરણને શરણ
દર કલાકે કીડીખાઉ મરાઈ રહ્યા છે એટલે આ જાતિ નામશેષ થવા તરફ આગળ વધી રહી છે. જો ચીન અને થાઇલેન્ડ તેમને મારવાનું બંધ નહિ કરે તો પણ આ જીવો માંડ દસ વર્ષ સુધી જોવા મળશે. ભારતમાંથી પેંગોલીન મોટા પાયે સ્મગલ થાય છે. ઓગસ્ટ 2014માં કોલકત્તાના હવાઈ મથક પર 70 કિલોગ્રામ પેંગોલીયનના ભીંગડા મળી આવ્યા હતા.