સુરતમાં કોરોનાની 20 દિવસની સારવાર બાદ દર્દીનું મૃત્યુ, રત્નદીપ હોસ્પિટલે બીલના બહાને મૃતકની ડેડબોડી 12 કલાક કરતા વધુ સમય રોકી હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતની રત્નદીપ હોસ્પિટલે માનવતા નેવે મુકી
મૃતદેહને રોકી રાખ્યો હોવાનો આક્ષેપ
બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનું કહ્યાનો આક્ષેપ
સુરત શહેરમાં રત્નદીપ હોસ્પિટલે માનવતા નેવે મુકી દીધી હોય તેવું ઉદાહરણ સામે આવ્યું છે. કોરોનાની 20 દિવસની સારવાર બાદ દર્દીનું મૃત્યુ થયું હતું. જે બાદ હોસ્પિટલે બીલના બહાને મૃતકની ડેડબોડી 12 કલાક કરતા વધુ સમય રોકી હોવાનો આક્ષેપ પરિવારે કર્યા છે. હોસ્પિટલમાં બીલની રકમ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનું આક્ષેપ કરી રહ્યા છે. સાથે પરિવારે કહ્યું કે, 2.50 લાખ ચૂકવ્યા હતા. પરંતુ હોસ્પિટલને બીજા 2.50 લાખનું બીલ આપી તેને ભર્યા બાદ મૃતદેહ અપાશે તેવો આક્ષેપ કર્યો હતો.
સુરતમાં ઈન્જેક્શનની કાળાબજારી
બીજી તરફ કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂપિયા 35થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂપિયા 3 લાખમાં કર્યો હતો.
રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. જેથી ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો અને બે ઇસમોની ધરપકડ કરી છે. આ લેતીદેતી વખતે જ પોલીસે રસિક કથિરિયા અને વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. જ્યારે નર્સ હેતલ કથિરિયાની શોધખોળ ચાલુ છે. આ ઈન્જેકશન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ લીધી છે.