અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ વર્ગ 1-2 ના અધિકારીઓને પોતાની મિલકતો વિશે 20 ઓગસ્ટ સુધી જાણકારી આપવાની રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો મહત્વનો આદેશ
વર્ગ 1-2 ના અધિકારીઓને મિલકતોની જાણકારી આપવા આદેશ
ટુક સમયમાં તમામ મિલકતો જાહેર કરવા આપ્યો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો આદેશ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને સ્થાવર તેમજ જંગમ મિલકતોની માહિતી ટૂંક સમયમાં આપવી પડશે. માહિતી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તંત્રના નિયમ મુજબ અધિકારીઓએ સમયાંતરે તેઓની સંપત્તિ જાહેર કરવાની હોય છે.
લાંબો સમય થવા છતાં પણ હજુ સુધી ઘણા અધિકારીઓએ આ માહિતી પૂરી પાડી નથી આ બાબતને ગંભીર ગણીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક માહિતી પૂરી પાડવા આદેશ આપવામાં આવે છે. આગામી 20 ઓગસ્ટ સુધી આ માહિતી પૂરી પાડવા તાકીદ કરવામાં આવી છે. જે અધિકારી પાલન નહીં કરે તેઓની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગને લઈ કાર્યવાહી
રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે. તેના હેઠળ જે કોઈ ફરિયાદો આવે છે, એ મુજબ તેની તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં કુલ 106 ફરિયાદ આવી હતી. જેમાંથી તપાસના અંતે વધુ 7 ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 1 કેસમાં સરકારી જમીન હતી. જયારે 6 કેસમાં ખાનગી જમીન ભૂ-માફિયાના કબ્જામાંથી ખાલી કરાવી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ 7 કેસમાં કુલ 36 આરોપી સામે ગુનો નોંધી કુલ 200 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ વખતે આવેલી કુલ 106 અરજીમાંથી 7માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જયારે 15 અરજી અંગે ફેર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને બાકીની અરજીઓ રદ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો કુલ 26 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ 1800 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી છે.
શું છે લેન્ડગ્રેબિંગ કાયદો?
CM રુપાણીની અધ્યક્ષતામાં ભૂમાફિયાઓને અંકુશમાં લઇને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર કરાઈ હતી.
આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની કમિટીની રચના
દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ
ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ
કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે
વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ
દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે
આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે.
રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનૂમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જોગવાઇઓ-નિયમોનો હવે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હરૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઇઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે
આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.