જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન એવું તો ખળભળી ઉઠ્યું છે કે તે હવે સીધી આરપારની લડાઈ લડવાના બદલે ભારતની પીઠ પાછળ વાર કરવાના મોકા શોધતું રહે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ-370 હટાવવામાં આવી હતી. આ નિર્ણયથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓ રીતસર ગભરાઈ ગયા છે અને તેમણે ઘૂસણખોરીના પ્રયાસો અચનાક વધારી દીધા છે.
59 આતંકીઓએ કાશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા
2005થી 21 ઓક્ટોબર, 2019 સુધીમાં 1110 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું
ઘૂસણખોરીના 84 વખત પ્રયાસો કરવામાં આવ્યા
ઓગસ્ટ મહિનાથી લઈને આજદિન સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પરથી ઘૂસણખોરીના 84 વખત પ્રયાસો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ લોકસભામાં આ ચોંકાવનારી માહિતી આપતાં કહ્યું હતું કે, 59 આતંકીઓએ કાશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા છે. ગૃહમાં તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા રેડ્ડીએ કહ્યું હતું કે, એલઓસી પરથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી સરહદ પારથી (પાકિસ્તાનમાંથી) આયોજિત અને સમર્થિત છે.
સરહદ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે
કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદથી સુરક્ષાદળો અને સેનાના જવાનો સતત એલર્ટ મોડ પર છે અને ઘૂસણખોરીના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને હવે શિયાળાની કડકડતી ઠંડીમાં આતંકીઓ એલઓસી પાર કરીને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો અચાનક વધારી દેતા હોવાથી તમામ સરહદ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
42 આતંકીઓ પકડાઈ ગયા
રેડ્ડીએ સદનમાં કહ્યું હતું કે, સરહદ પારથી ઘૂસણખોરીના 84 પ્રયાસો થયા છે અને એવું અનુમાન છે કે 59 આતંકીઓ આપણા દેશમાં પ્રવેશી ચૂક્યા છે. ગૃહ રાજ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, 2005થી 21 ઓક્ટોબર, 2019 સુધીમાં 1110 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે 42 આતંકીઓ પકડાઈ ગયા છે અને 2253 આતંકીઓને પાકિસ્તાન પરત ભાગવાની ફરજ પડી હતી. સુરક્ષાદળોની પ્રભાવશાળી વૉચના કારણે આ શક્ય બન્યું છે.
26 જાન્યુઆરીની ઉજવણી વખતે મોટા હુમલાનાં ઈનપુટ્સ પણ એજન્સીઓને મળ્યા
દેશમાં ઘૂસી આવેલા 59 આતંકીઓને શોધી કાઢવા માટે હાલ જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આતંકીઓના સક્રિય ઑવરગ્રાઉન્ડ વર્કર્સની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આતંકીઓ 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)ની ઉજવણી વખતે મોટા હુમલા કરવાની ફિરાકમાં હોવાના ઈનપુટ્સ પણ એજન્સીઓને મળ્યા છે.