જામનગર જિલ્લામાં મગફળીના પાકમાં મુંડા અને ફૂગનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને મગફળીના ઉત્પાદના મોટાપાયે ઘટાડો આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી
મગફળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના
સરકારી સહાયની ખેડૂતોની માગ
જામનગર જિલ્લામાં જગતના તાત ફરી મૂંઝવણમાં મુકાયો છે. જિલ્લામાં 1 લાખ 54 હાજર હેક્ટરમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે મગફળીના પાકમાં ફૂગ અને મુંડાનો ઉપદ્રવ વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગર જિલ્લામાં 1 લાખ 54 હાજર હેક્ટરમાં હાલ મગફળીનો પાક લહેરાઇ રહ્યો છે. જેમાં મુંડા નામની જીવાતનું પ્રમાણ વધતા પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોના સોના જેવામાં સુકારો આવતા ખેડૂતોની માથે ચિંતાના વાદળો છવાયા છે.
જામનગર જિલ્લામાં 1 લાખ 54 હાજર હેક્ટરમાં મગફળીનું થયું વાવેતર
મુંડા અને ફૂગના ઉપદ્રવને રોકવા માટે ખેડૂતો દ્વારા હજારો રૂપિયાની જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે પરંતુ તેમ છતાં મુંડા અને ફૂગનો ઉપદ્રવ ન રોકાતા મગફળીના ઉત્પાદનમાં ખાસો એવો તફાવત જોવા મળી શકે છે. તનતોડ મહેનત કરવા છતાં મગફળીના પાકમાં મુંડા અને ફૂગનો ઉપદ્રવ અટકવાનું નામ ન લેતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
ફૂગ અને મુંડાનો ત્રાસ વધતા ખેડૂતોને હાલાકી
ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવા માટે બિયારણથી માંડી જંતુનાશક દવા સુધીનો હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં મગફળીના ઉત્પાદનમાં મુંડા અને ફૂગના કારણે 40 થી 50 ટકા જેટલું ઉત્પાદન ઓછું આવે તેમ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે મગફળીનું ઓછું ઉત્પાદન થાય તો ખેડૂતોએ કરેલ ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો આ અંગે સરકારને સહાય આપવા તેમજ આ ઉપદ્રવને રોકવા માટે કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેમ માંગ કરી રહ્યા છે.