દેશમાં રાજકીય લાભ માટે જાતિવાદનો કાર્ડ ખેલતા કેટલાક નેતાઓ સહેજ પણ ખચકાતા નથી. હૈદરાબાદમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને કારમી હાર આપી તો અખિલેશ યાદવે એક ટ્વીટ કર્યું અને આ ટ્વીટના કારણે અખિલેશ વિવાદમાં ફસાઇ ગયા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા અખિલેશ યાદવ ત્રણ વાક્યનું ટ્વીટ કરીને ચર્ચામાં આવી ગયા છે. શુભકામના પાઠવતો એક એવો સંદેશ જે વિવાદનું કારણ બની ગયું.
યાદવ વંશના નેતા અખિલેશ યાદવે ત્રણ વાક્યના ટ્વીટમાં બે વખત ઉમેશ યાદવનું નામ લખ્યું. એટલે લોકોએ સોશિયલ મીડિયા પર અખિલેશ યાદવને ટ્રોલ કરી નાખ્યા.
ફિલ્મ નિર્દેશક વિનોદ કાપરીએ લખ્યું કે તમે ઉમેશ લખો યાદવ પણ લખો પરંતુ ક્યારે પૃથ્વી શૉ લખીને પણ બતાવો. આ સાથે જ વિનોદ કાપરીએ અન્ય ક્રિકેટરના નામ ન લખવા પર પણ સવાલ ઉઠાવ્યા અને એશિયા કપની જીતનો પણ ઉલ્લેખ કર્યો.
તો ભાસ્કર મિશ્ર નામના એક વ્યક્તિએ લખ્યું કે આ પહેલા કેટલી મેચમાં શુભકામના આપી ચુક્યો છે યાદવ જી. તો ખબરબાજી નામના ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું કે ઉમેશ યાદવને શુભેચ્છા પાઠવતી વખતે અખિલેશ યાદવે એ વાતનું ધ્યાન રાખ્યું કે ટ્વીટમાં બે વખત ઉમેશ યાદવનું નામ લખવામાં આવે અને બન્ને વાર ઉમેશની સાથે યાદવ પણ લખવામાં આવે. જીતના નાયકની જાતિ શોધી લેવા બદલ અખિલેશ યાદવને મારા તરફથી શુભેચ્છા.
ઉત્તરપ્રદેશ પર અનેકવાર રાજ કરનાર આ એવો પરિવાર છે. જેમના પર જાતિવાદના નામે રાજકારણ કરવાના આરોપ પણ લાગ્યા. મુલાયમ સિંહ હોય કે અખિલેશ યાદવ તેમની કેબિનેટમાં પરિવારના સભ્યોથી લઇને પોતાની જાતિના લોકોને પ્રોત્સાહનનો પણ વિરોધીઓ આરોપ લગાવે છે.
જો કે હાલમાં અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ જાતિ પર ટકેલા રાજકારણનું જ પરિણામ છે કે સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાં સારુ પ્રદર્શન નથી કરી શકતી.
એટલે દરેક લોકોને રાજકીય નજરથી જોતા અખિલેશ યાદવને ક્રિકેટ મેચમાં પણ ઉમેશ કરતા યાદવ શબ્દ સાથે વધુ લગાવ હોય તો નવાઇ ન કહેવાય.
ઉમેશ યાદવે 10 વિકેટ લીધી એ જ્વલંત સફળતા તો કહેવાય જ પરંતુ વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી મેચમાં ભારતને જીત મળી ત્યારે અખિલેશ યાદવ મૌન રહ્યા. પૃથ્વી શૃએ પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી ત્યારે પણ અખિલેશ યાદવ મૌન રહ્યા અને એશિયા કપમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની ત્યારે પણ શુભેચ્છા આપવા માટે અખિલેશ યાદવને બે શબ્દ મળ્યા ન હતા.