ગુજરાતના ઉદ્યોગ એકમો ભારતના નહિ બલ્કે વિશ્વના સૌથી વધુ પ્રદુષણ ફેલાવતા વિસ્તારોમાંથી એક છે. અહીનું પ્રદુષણ હદ બહાર વધી જતા સરકારે ઉદ્યોગપતિઓ ઉપર પ્રતિબંધો લાદયા છે. હવે આ પ્રતિબધ હટાવવા ઉદ્યોગપતિઓ ઉતાવળા બન્યા છે. આ માટે તેઓ પ્રદુષણકર્તા ન હોવાનો દાવો કરીને બીજાને પ્રદુષણકર્તા સાબિત કરવા માટે મથી રહ્યા છે.
હાલમાં ઍર પૉલ્યુશન નોલેજ અસેસ્મેન્ટ પ્રોજેક્ટ દ્વારા અર્બન એમીશન અર્થાત શહેરોમાં થઇ રહેલા વાયુ પ્રદુષણના આંકડા જાહેર થયા હતા. આશ્ચર્યજનક રીતે આ આંકડાઓનો જરૂર પ્રમાણે મતલબ કાઢીને વટવા, નારોલ, વાપી, વડોદરા, સુરત વગેરેના ઉદ્યોગ અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હવાના પ્રદુષણ માટે ઉદ્યોગોને જવાબદાર ન ઠેરવવા અપીલ કરી હતી.
કેમ કરી છે અપીલ?
રાજ્યની ઔદ્યોગિક વસાહતો તેમના બેફામ પ્રદૂષણ માટે કુખ્યાત છે. હદ બહારના ઔદ્યોગિક પ્રદુષણના પગલે આ વિસ્તારોમાં નવા ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવતી નથી. આથી ઉદ્યોગપતિઓ આ પ્રતિબંધ ખસેડવા માટે તલપાપડ બન્યા છે.
તેઓ સાબિત કરવા માંગે છે કે શહેરમાં ઉદ્યોગો કરતા વાહનો વધુ પ્રદુષણ ફેલાવે છે. તેમના મતે અમદાવાદ શહેરમાં વાહનો ૪૮% પ્રદુષણ માટે જવાબદાર છે જયારે ઉદ્યોગો ૩૦% પ્રદૂષણ માટે જવાબદાર છે. આ વિધાન હાસ્યાસ્પદ જણાય છે કારણ કે જયારે વાહનો અને ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષકોના આંકડા ચકાસવામાં આવે તો સ્પષ્ટ જણાય છે કે ઉદ્યોગો વાહનો કરતા ઘણું વધુ પ્રદુષણ ફેલાવે છે.
શું કહે છે આંકડા?
આપેલ આલેખ આંકડાઓનો સ્પષ્ટ ચિતાર આપે છે. આલેખ પરથી સ્પષ્ટ જણાય છે કે અવલોકનમાં લીધેલા ૮ પ્રદુષકોમાંથી ૬ પ્રદુષકોમાં ઉદ્યોગોના આંકડા વાહનો કરતા વધુ છે. આ છતાં વાહનો ૪૮% પ્રદુષણ માટે જવાબદાર છે જયારે ઉદ્યોગો ૩૦% પ્રદુષણ માટે જવાબદાર છે તેમ કહેવામાં આવી રહ્યું છે. હવે આ આલેખના આટલા સ્પષ્ટ અવલોકન બાદ જો કોઈ વ્યક્તિ એવો નિષ્કર્ષ કાઢે કે વાહનો ઉદ્યોગો કરતા વધુ પ્રદુષણ કરે છે ત્યારે તેના અવલોકન પર કોઈ નિર્ણય લેવાય તો ખોટો સાબિત થાય તો નવાઈ નહીં.
નિષ્ણાતોના મતે ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગો બંધ ન થાય અને વાહનોને જવાબદાર ઠેરવી સામાન્ય પરિવહન વાપરતી પ્રજાના માથે દોષનો ટોપલો ઢોળાઈ જાય તેવી યોજના બનાવી રહ્યા હોય તેવી શક્યતા રહેલી છે.