રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી હવે આંધ્રપ્રદેશમાંથી રાજયસભાના સાંસદ બનશે. પરિમલ નથવાણી ઝારખંડમાંથી બે વખત સાંસદ બન્યા છે. જેમની મુદત હવે એપ્રિલમાં પુરી થાય છે.
પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી બનશે રાજ્યસભા સાંસદ
રાજ્યસભામાં MP તરીકે 9 એપ્રિલે કાર્યકાળ થાય છે પૂર્ણ
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડીએ રાજ્યના કવોટાની આંધ્રપ્રદેશની બેઠક પરથી પરિમલ નથવાણીને ચૂંટાવી દેવાની ઓફર કરી છે જેથી તેઓ ત્રીજી વખત રાજયસભામાં બેસી શકશે. પરિમલ નથવાણીનો સાંસદ તરીકે 9 એપ્રિલે કાર્યકાળ પૂર્ણ થાય છે.
જગનમોહન રેડ્ડી સાથે કરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, તેઓ ઝારખંડમાંથી 2008 અને 2014માં ચૂંટાયા હતા. હાલમાં જ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અને પરિમલ નથવાણી અમરાવતીમાં જગનમોહન રેડ્ડીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને બંધબારણે બેઠક ચાલી હતી અને તેમાં જગનમોહન રેડ્ડીએ આ ઓફર કરી હોવાનું મનાય છે. પરિમલ નથવાણી બે વખત ઝારખંડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજયસભામાં ચૂંટાયા હતા.
ક્યારે બન્યા રાજ્યસભા સાંસદ
પરિમલ નાથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડથી ચૂંટાઈ આવ્યા હતા. નાથવાણીની બીજી ખાસ વાત એ છે કે પરિમલ નાથવાણી રાજ્યસભા એક સક્રિય સાંસદ છે. આ વર્ષે બજેટ સેશન દરમિયાન 31મી જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનાં સમયગાળામાં નાથવાણીએ 16 સવાલો કર્યા હતા.
પરિમલ નાથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલ નાથવાણીને વર્ષ 2016માં કૉર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.
દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ ધરાવે છે.
જામનગરમાં રીફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નાથવાણીને જાય છે સાથે જ નાથવાણી દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ ધરાવે છે.