અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રવચન દરમિયાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપતા સમગ્ર સાધુ-સંતો અને શિવભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આનંદસાગર સ્વામીના નિવેદન પર ઇન્દ્રભારતી બાપુએ તિખી પ્રતિક્રિયા આપી છે.
પ્રબોધસ્વામી જૂથના એક સંત ફરીવાર વિવાદમાં આવ્યા
શિવજીને લઇને આપ્યું વિવાદિત નિવેદન
મહંત ઇન્દ્રભારતી બાપુ થયા લાલઘુમ
પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ ભગવાન શિવને લઇને વિવાદિત નિવેદન કરતા શિવભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્વામીએ આ પ્રવચન દરમિયાન ભગવાન શિવજીએ કચ્છના હરિભક્ત નિશીથના ચરણ સ્પર્શ કર્યાનો પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો. જે બાદ આ સમગ્ર વિવાદ વકર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ સોખડા વિવાદ દરમિયાન પણ પ્રબોધ સ્વામી વિવાદમાં આવી ચૂક્યા છે. જોકે, આનંદસાગર સ્વામીની મહાદેવ પર ટિપ્પણી મામલે સાધુ સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જુનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ નિવેદનને વખોડી કાઢ્યું છે.
તમે ગુરૂમુખી છો જ નહીંઃ ઇન્દ્રભારતી બાપુ
ઇન્દ્રભારતીબાપુએ નિવેદનને વખોડતા કહ્યું કે, 'એક સ્વામીનારાયણ સંપ્રદાયની વ્યક્તિ કે જેમનું નામ છે આનંદ સાગર, જેમનામાં આનંદ છે જ નહીં અને એમને આનંદ કરવા દેવાય પણ નહીં. પ્રબોધ અને આનંદ નામની બે વ્યક્તિ છે તે શું સમાજની દાટ વાળવા માટે સાધુ થયા છે? સંપ્રદાયની દાટ વાળવા સાધુ થયા છે? ધર્મની દાટ વાળવા સાધુ થયા છે? તમારે તમારી લીટી મોટી કરવી હોય તો કરો બીજાની શું કામ નાની કરો છો. તમે ગુરુમુખી છો જ નહીં. આજે આ સંપ્રદાયના ઘણા સંતો છે કે જેમણે આનંદસાગર સ્વામીની ટિપ્પણીનો વિરોધ નથી કર્યો તો શું તમે તેનાથી સમંત છો?'
અમારા દેવી-દેવતાઓ પર ટિપ્પણી ન કરોઃ ઇન્દ્રભારતી બાપુ
ઇન્દ્રભારતીબાપુએ કહ્યું કે, 'મહેરબાની કરીને અમારી દેવી-દેવતાની ઉપર કોઈ ટિપ્પણી ન કરો. અગાઉ પણ અમે તમને જતા કરી દીધા છે. હવે જો આવી કોઈ ટિપ્પણી કરશો તો તમને સનાતન સત્ય સમાજ ક્યારેય માફ નહીં કરે.'
આ પહેલા આપાગીગા ઓટલા ચોટીલાના મહંતે પણ આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુએ નિવેદનને વખોડતા કહ્યું હતું કે, 'આનંદસાગર સ્વામીને સંપ્રદાયમાંથી કાઢી મૂકો. ધર્મ સાથે સુસંગત નથી એવી ટિપ્પણી ન કરવી જોઈએ. સનાતન ધર્મ વિશે વાતો કરો. એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મૂકવા જોઈએ. મહાદેવ તો દેવોના દેવ છે. આ લોકો બજારમાં રહેવા માટે અનાબ શનાબ બોલે છે.'
આપને જણાવી દઈએ કે, આનંદસાગર સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ શિવભક્તોમાં રોષ જોવા મળતા ભારે વિવાદ બાદ આનંદસાગર સ્વામીએ માફી માંગી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.