મોરારી બાપુએ નિલકંઠ વર્ણીને લઈને આપેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ત્યારે હવે સાધુ સમાજ મોરારી બાપુની તરફેણમાં આવ્યાં છે. જૂનાગઢનાં ઈન્દ્રભારતી બાપુએ મોરારી બાપુની તરફેણમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 'મોરારી બાપુ કોઈની પાસે માફી નહીં માંગે. મોરારી બાપુને માફી મંગાવવાનાં પ્રયત્ન પણ ના કરશો. મોરારી બાપુએ જે કહ્યું તે ખોટુ નથી. ઈન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu) એ નિવેદન આપતા ફરી એક વખત વિવાદ વકર્યો છે.'
બીજી બાજુ લોકસાહિત્યકાર શંકરદાન ગઢવી મોરારી બાપુનાં સમર્થનમાં આવ્યાં છે. શંકરદાન ગઢવીએ કહ્યું કે, 'મોરારી બાપુ (Morari bapu) જે પણ બોલ્યા છે તે સત્ય બોલ્યા છે. મોરારી બાપુથી કોઇ ભૂલ નથી થઇ.' ઉલ્લેખનીય છે કે કથાકાર મોરારી બાપુએ અગાઉ વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નારાજગી જોવાં મળી હતી. મોરારી બાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું.
કથામાં મોરારી બાપુએ કહ્યું હતું કે, 'નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.' ત્યારે મોરારી બાપુનાં આ જ નિવેદને એક વિવાદ સર્જ્યો છે. જેનાં કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો અને હરિભક્તોમાં નારાજગી જોવાં મળી છે.'
બીજી બાજુ ભારતી બાપુ પણ મોરારિ બાપુની તરફેણમાં આવ્યાં અને અપીલ કરતા કહ્યું કે, 'નાના મુદ્દાને વધારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બધા સંપ્રદાયે એક થઈને આગળ વધવું જોઈએ. ખોટા નિવેદન કરીને હિંદુ ધર્મને ઠેસ ન પહોંચાડવી જોઈએ. સ્વામિનારાયણ સાધુઓનાં નિવેદનને પણ બાપુએ વખોડ્યાં. કૃષ્ણ, માતાજી અને બીજા નિવેદન આવ્યાં તે પણ ખોટું થયું.'
જો કે હવે આ મામલે એક પછી એક સંતોનાં નિવેદનો આવી રહ્યાં છે અને સામે મોરારી બાપુનાં સમર્થકોનાં પણ વીડિયો સામે આવી રહ્યાં છે કે જેઓ મોરારી બાપુને સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે આ વિવાદ અંતે ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવે છે.