ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ આજે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ગોહાટીમાં વરસાદ બાદ ખરાબ વ્યવસ્થાના કારણે પ્રથમ મુકાબલો રદ થયા બાદ હવે ઇન્દોરમાં જ ટીમ ઇન્ડિયા નવા વર્ષની શરૂઆત કરશે. જે હોલકર સ્ટેડિયમમાં આજે મેચ રમાવાની છે ત્યાં ક્રિકેટના એક પણ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી. આ સ્થિતિમાં પ્રશંસકો ટીમ ઇન્ડિયાની વધુ એક જીતની આશા રાખી રહ્યા છે. આમ ટીમ ઇન્ડિયા આજે હોલકર સ્ટેડિયમમાં અજેય રહેવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ
હોલકર સ્ટેડિયમમાં અજેય રહેવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે
ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા માગે છે
ઇન્દોર અને આસપાસના વિસ્તારમાં આજે હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઠંડીના કારણે ઝાકળ પોતાનો પ્રભાવ દેખાડશે. રવિવારની રાત્રે 9.00 વાગ્યા બાદથી રોજ મેદાન પર ઝાકળ જોવા મળે છે. મધ્યપ્રદેશન ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઝાકળના પ્રશ્નને ઉકેલવા માટે ખાસ રસાયણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઝાકળના પ્રભાવને ઓછો કરવા માટે મેદાન કર્મચારીઓએ છેલ્લા ત્રણ દિવસથી આઉટફિલ્ડમાં પાણી છાંટ્યું નથી.
આજે દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે
હોલકરની પીચ પર આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ મેચોમાં મોટા સ્કોર નોંધાયા છે. આજે પણ દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. અહીં ટોસનું મહત્ત્વ બહુ રહેતું ન હોવાથી બંને ટીમના કેપ્ટનને ટોસ હારવાનો કોઈ અફસોસ નહીં થાય. આજની મેચ કાળી માટીમાંથી બનેલી સેન્ટર પીચ પર રમાશે.