ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ અને આજુબાજુના વિસ્તારમાં 7.5ના ભયાવહ ભૂકંપ બાદ સૂનામીને કારણે તારાજી સર્જાઇ છે. ઇન્ડોનેશિયામાં શુક્રવારે આવેલ શક્તિશાળી ભૂકંપ બાદ સુલાવેસી દ્વીપ પર સ્થિત પાલૂ શહેરમાં સુનામીએ પણ કહેર વરસાવ્યો છે.
ડિઝાસ્ટર એજન્સીના પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અગાઉ કોમાંગ આદિ સુજેન્દ્ર નામક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 30 લોકોના મૃતદેહ પડ્યા છે અને અનેક લોકો ઘાયલ છે સારવાર માટે ડોક્ટરોની જરૂર છે.
નોંધનીય છે કે શુક્રવારે ત્રાટકેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલૂ શહેરથી 75 કિમી દૂર હતું. ભૂકંપની તીવ્રતા એટલી તીવ્ર હતી કે તેના આંચકા 900 કિમી દૂર દક્ષિણમાં સ્થિત ટાપુના સૌથી મોટા શહેર માકાસર સુધી અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાના ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પુર્વો નુગ્રોહોએ જણાવ્યું હતું સુલાવેસી વિસ્તારમાં વિજ્ળી અને દૂરસંચાર સેવા ઠપ થઇ જવાને કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો છે.
જોકે રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી. પાલૂના દક્ષિણમાં લગભગ 175 કિમી દૂર તોરાજાના નિવાસી લીસા સોબા પાલ્લાને જણાવ્યું હતું કે શુક્રાવારે અનેક આંચકા અનુભવાયા હતા.
તેમણે જણાવ્યું કે અંતિમ આંચકો અંત્યંત તીવ્ર હતો. ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતીને કારણે ત્યાં ભૂકંપના આંચકા અવારનવાર આંચકા અનુભવાતા રહે છે.