ઇંડિગોનાં કર્મચારીઓ બીજી એરલાઇનના ઇંટરવ્યૂમાં ઉપડી જતાં હાલાકી
ફ્લાઈટમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી
ઈન્ડિગોએ કોઈ જાહેર નિવેદન જારી કર્યું નથી: અસુવિધા બદલ માફી માંગી
તાજેતરમાં એર લાઇન્સમાં ખામીને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોય તેવી ઘટના સામે આવી હતી. જોકે હવે ઇંડિગોનાં કર્મચારીઓ બીજી એરલાઇનના ઇંટરવ્યૂમાં ઉપડી જતાં આખા દેશમાં ફ્લાઇટ્સ મોડી પડી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે ઈન્ડિગોની મોટી સંખ્યામાં વિલંબિત ફ્લાઈટ્સને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ફ્લાઈટ કંટ્રોલિંગ બોડી ડીજીસીએએ તેને ગંભીર અવ્યવસ્થા ગણીને ઈન્ડિગો પાસેથી જવાબ માંગ્યો છે. DGCA અનુસાર, શનિવારે ઈન્ડિગોની અડધાથી પણ ઓછી ફ્લાઈટ્સ તેની નિર્ધારિત ફ્લાઈટ્સમાંથી માત્ર 45% પર જ ટેકઓફ કરી શકી હતી.
ફ્લાઈટમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી
ઈન્ડિગોની ફ્લાઈટમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, ઈન્ડિગોના ક્રૂ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઈન્ટરવ્યુ આપવા માટે અન્ય એરલાઈન્સમાં ગયા હતા. જેથી તેઓ તેમની સેવા સમયસર પહોંચી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, ટાટા સન્સ ગ્રૂપમાં ગયા બાદ એર ઈન્ડિયામાં આ દિવસોમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ક્રૂ મેમ્બર્સને રસ છે.
ઈન્ડિગોએ કોઈ જાહેર નિવેદન જારી કર્યું નથી
જો કે ઈન્ડિગોએ આ અંગે કોઈ જાહેર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ સમયના પાબંદ હોવાનો દાવો કરતી ઈન્ડિગો એરલાઈન્સે તેની ફ્લાઈટ્સમાં વિલંબને કારણે મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. ઈન્ડિગોના દરરોજ 1600 એરક્રાફ્ટ ઉડે છે. શનિવારે, આમાંથી લગભગ 850 એરક્રાફ્ટ નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ અથવા વધુ મોડા ઉડાન ભરી શક્યા.
ઈન્ડિગોએ DGCOને જવાબ આપવો પડશે
ઈન્ડિગોએ મુસાફરોની ફરિયાદના જવાબમાં જણાવ્યું હતું કે ફ્લાઈટ્સમાં વિલંબ થવાનું કોઈ એક કારણ નથી. પરંતુ અનેક કારણોસર શનિવારે ફ્લાઈટ્સ મોડી પડી હતી. એરોપ્લેન મૂવમેન્ટ અને ક્લિયરન્સ પણ મુખ્ય પરિબળ હતા. જોકે, હવે DGCAના વાંધાઓ બાદ હવે ઈન્ડિગોએ આ અંગે પોતાનો સત્તાવાર જવાબ આપવો પડશે.