કોરોના વાયરસની રસી મુદ્દે સરકારે એક અગત્યની જાહેરાત કરી છે. સરકારે કોરોનાની રસીના સંશોધન અંગે અપડેટ આપતા કહ્યું છે કે ભારત તરફથી બે રસીઓ, એક ભારત બાયોટેકની COVAXIN અને બીજી ઝાયડસ કેડિલાની ZyCov-D આ બંને રસીઓને ભારતના Drug Controller General of India CDSCO તરફથી હ્યુમન ટ્રાયલ્સ માટે મંજૂરી મળી ગઈ છે. સરકારના મતે આ સફળતા કોરોનાના અંતની શરૂઆત છે.
નોંધનીય છે કે ભારત UNICEFના રસીઓના કુલ પુરવઠામાંથી 60% સપ્લાય કરે છે. દુનિયાના કોઈ પણ ખૂણે કોરોનાની રસી બનશે તેના મોટા પાયે ઉત્પાદન કરવામાં ભારત મહત્વનો ભાગ ભજવશે.
અત્યારે વિશ્વમાં કોરોનાની રસી માટે 140 જેટલી રસીઓ તૈયાર કરાઈ છે જેમાંથી સૌથી આશાસ્પદ ઓક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટની AZD1222 છે, આ ઉપરાંત બીજા ક્રમે અમેરિકાના વૉશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિક્સાવાયેલ MRNA-1273 રસી છે. આ બંને કંપનીઓએ આ રસીના મોટા પાયાના ઉત્પાદન માટે પહેલેથી ભારત સાથે એગ્રીમેન્ટ કરી લીધું છે. વિશ્વભરની 140 રસીઓમાંથી 11 રસીઓ હ્યુમન ટ્રાયલ્સમાં આવી ચુકી છે જેમાં આ બે ભારતીય રસીઓનો પણ સમાવેશ થાય છે.
રસી કેવી રીતે કામ કરે છે?
કોઈ પણ બેક્ટરિયા કે વાયરસના અણુઓનું રચના એટલે ડિઝાઇનને એન્ટિજન કહે છે. આ એન્ટિજન સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટિબોડી બનાવે છે જે એન્ટીજન સાથે મેચ થતા હોય. આ માટે આપણા શરીરમાં લાખો પ્રકારના એન્ટિબોડી પહેલેથી રહેલા છે પરંતુ જો કોઈ નવા જ પ્રકારનો વાયરસ હોય જેમ કે SARS CoV-2 નોવેલ કોરોના વાયરસ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પાસે એ પ્રકારની ડિઝાઇનના એન્ટિબોડી ન હોવાથી આ એન્ટિજન શરીરમાં ઘુસીને પોતાની સંખ્યા વધારે છે.
રસીએ શરીરમાં કૃત્રિમ રીતે આ પ્રકારના એન્ટિબોડી બનાવવાની એક પ્રક્રિયા છે. કોરોનાની રસી માટે કોરોનાના એન્ટિજન રસી સ્વરૂપે માનવ શરીરમાં દાખલ કરવામાં આવશે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ તેની રચના પારખીને તેના સામેના એન્ટિબોડી બનાવી લે. આ પ્રક્રિયા બે રીતે કરવામાં આવે છે.1. ઇનએક્ટિવેટ વાયરસ વેક્સિન 2. DNA પ્લાઝમીડ વેક્સિન
1. ઇનએક્ટિવેટ વાયરસ વેક્સિન
ભારત બાયોટેચની કોરોનાની રસીમાં એક ભારતીય દર્દીના શરીરમાંથી કોરોના વાયરસને કાઢી લઇને તેને ગરમી અથવા ફોર્માલ્ડિહાઇડ વડે નિષ્ક્રિય કરી દેવાય છે. એવામાં વાયરસના એન્ટિજન એટલે કે તેની રચના એમની એમ રહે છે પણ તે મૃત થઇ જાય છે. આવા નિષ્ક્રિય વાયરસને શરીરમાં દાખલ કરતા શરીર તેની સામે એન્ટિબોડી બનાવીને તે એન્ટિબોડીને સ્ટોર કરી લે છે જેથી ભવિષ્યમાં જયારે જીવતો કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે તો શરીર આ એન્ટિબોડીની મદદથી તેને બ્લોક કરી શકે છે.કોરોના વાયરસ તેની ઉપર રહેલા સ્પાઇક પ્રોટીન વડે શરીરના કોષોમાં પ્રવેશે છે. જો આ સ્પાઇક પ્રોટીનને જ બ્લોક કરી દેવાય તો કોરોના વાયરસના નુકશાનથી બચી શકાય છે.
2. DNA પ્લાઝમીડ વેક્સિન
આ પદ્ધતિમાં વાયરસના સ્પાઇક પ્રોટીનના જેનોમિક કોડને એક હાનિરહિત DNA પ્લાસ્મિડ સાથે જોડી દેવાય છે. આ ફેરફાર કરાયેલો વિશિષ્ટ DNA માનવ શરીરના કોષોમાં દાખલ કરાય છે. આ જેનોમિક કોડ કોષની સિસ્ટમમાં ઘુસીને તે પ્રકારના પ્રોટીન બનાવે છે. અજાણ્યા પ્રોટીન દાખલ થવાની સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ આ માટેના એન્ટિબોડી બનાવે છે. આ એન્ટિબોડી બની ગયા બાદ જયારે પણ ભવિષ્યમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે સ્પાઇક પ્રોટીનની હાજરી દેખાતા જ શરીરમાં એન્ટિબોડી રિલીઝ થાય છે અને તેઓ શરીરને બચાવી લે છે.