પીએમ મોદીની સુરક્ષાને વધુ સારી બનાવવા માટે હવે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અંગ્રેજી અખબારના અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીએમ મોદી પર ડ્રોનથી હુમલાનો ખતરો છે .
પીએમ મોદી પર ડ્રોનથી હુમલાનો ખતરો, દેશમાં જ બની રહ્યા છે એન્ટી ડ્રોન સિસ્ટમ
DRDO સિવાય પ્રાઈવેટ કંપનીઓ પણ બનાવી રહી છે સિસ્ટમ
પીએમ મોદીના આવાસ અને કાફલામાં લાગશે આ સિસ્ટમ
પીએમ મોદીની ચુસ્ત સુરક્ષા
પીએમ મોદીના કડક નિર્ણયોના કારણે કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓએ તેમને પોતાના નિશાને રાખ્યા છે. પીએમ મોદી પર ખતરાને જોતા તેમની સુરક્ષામાં ઘણા પડકાર આવતા રહે છે અને તેનાથી બચવા માટે તેમની સુરક્ષાને હવે વધુ ચુસ્ત કરવામાં આવશે. પીએમ મોદીના આવાસ અને તેમના કાફલામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે DRDOએ હાલમાં ભારત માટે એન્ટીડ્રોન સિસ્ટમનું ઉત્પાદન કરવા માટે ભારત ઈલેક્ટ્રોનિક સાથે ડીલ કરી છે.
એન્ટી ડ્રોન સિસ્ટમ
અંગ્રેજી અખબાર ધ હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીની સુરક્ષામાં હવે ડ્રોનને પાડી દેતી સિસ્ટમને પણ લગાવવામાં આવશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષની શરૂઆતથી જ ડ્રોનથી હુમલાનો ખતરો વધી ગયો છે જેથી તેમની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમને અનિવાર્ય કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે હાલમાં પાકિસ્તાની આતંકી સંગઠનોએ હુમલાઓ માટે સરહદ પર ચીની ડ્રોનનો ઉપયોગ શરુ કરી દીધો છે અને એવામાં ભારતે પોતાની સુરક્ષા માટે બે પ્રકારના સિસ્ટમ વિકસાવવાનું કામ શરુ કર્યું છે.
આ વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ સમારોહના આયોજન સ્થળો પર એન્ટીડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ સિસ્ટમની મદદથી બે કે ત્રણ કિમી દૂરથી જ દુશ્મનના ડ્રોનને નિષ્ક્રિય કરી શકાય છે. ગયા વર્ષે પાકિસ્તાન તરફથી આતંકી સંગઠનોએ સરહદ પર ડ્રોન સાથે હથિયારો મોકલવાની નાપાક હરકત કરી હતી.