અગાઉ હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા હતા બાદમાં રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે હાર્દિકને પાર્ટીની શિસ્તમાં રહેવા જણાવ્યુ હતુ
હાર્દિક પટેલનું સૂચક ટ્વિટ
કોંગ્રેસ પ્રમુખ,પ્રભારીના નિવેદન બાદ ટ્વિટ
કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે વિવાદ
ગુજરાતની રાજનીતિમાં પક્ષપલટાની આંધીના એંધાણ વર્તાઇ ચૂક્યા છે.તેવામાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે. બે દિવસથી કોંગ્રેસ પર આગની જેમ એક પછી એક વાર કરતા હાર્દિકે હવે કોંગ્રેસને અલવિદા કહેવાના સંકેત પણ આપી દીધા હતા. વાતનું વતેસર થતાં હાર્દિક પટેલે આડકતરી રીતે ટ્વીટ કરી પોતાનો 'મત' રજૂ કર્યો છે.
"અફવા હતી કે મારી તબિયત ખરાબ છે, લોકોએ પુછીને બીમાર કરી દીધો"
કોંગ્રેસ સાથેના વિવાદ વચ્ચે હાર્દિક પટેલે આજે સૂચક ટ્વિટ કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. હાર્દિકે લખ્યું છે કે અફવા હતી કે મારી તબિયત ખરાબ છે, લોકોએ પુછીને બીમાર કરી દીધો. આ ટ્વીટનો સીધો મતલબ હાલ હાર્દિક પટેલ કોંગ્રેસ સંગઠનથી નારાજ ચાલી રહ્યો છે તે વાત પર પૂર્ણ વિરામ સ્વરૂપે હતું. એટલે કે આ ટ્વિટથી કહેવા માંગે છે કે તે કોંગ્રેસથી નારાજ નથી પણ મીડિયામાં ચાલતી વાતોથી તેમણે નારાજ કરી દેવામાં આવ્યો છે.
अफवाह थी की मेरी तबियत ख़राब हैं, लोगो ने पूछ पूछ के बीमार कर दिया।
પણ રાજનીતિને અંદરથી જાણતા હાર્દિકના હાલ દાંત દેખાડવાના પણ જુદા છે અને ચાવવાના કારણ કે તે એક તરફ ગુજરાત કોંગ્રેસ સંગઠનથી નારાજ છે તેવુ જતાવી રાજકારણમાં ભળકો પણ કરી રહ્યા છે બાદમાં આ પ્રકારના ટ્વીટ કરી બળતામાં પાણીમાં પણ નાખી રહ્યા છે.
રાજકારણમાં ભૂકંપના એંધાણ
છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલની નારાજગી બધા સામે આવી ગઈ છે ત્યારે AAP દ્વારા હાર્દિક પટેલને ખુલ્લુ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. એવામાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ બાદના સૌથી મોટા નેતા જો પાર્ટી છોડીને AAPમાં જોડાય તો રાજકારણમાં મોટી હલચલ નિશ્ચિત છે. ગોપાલ ઈટાલિયા મીડિયા સામે કહ્યું કે અમે હાર્દિકને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAPમાં જોડાય.
નીખિલ સવાણીની પોસ્ટથી ખળભળાટ
હાર્દિક પટેલ 2-3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ પર પોતાનો બળાપો ઠાલવી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છોડી આપમાં પગરવ માંડશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. એવામાં હાર્દિક પટેલના ખાસ દોસ્ત AAP નેતા નિખિલ સવાણીએ ગઈકાલે ગુરુવારે ટ્વીટ કરી વહેતી વાતોને જાણે મહોર મારી છે. સવાણીએ લખ્યું છે કે આગામી દિવસમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની તૈયારી..આ ટ્વીટ થતાં હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે અને AAP પાર્ટીનું ઝાડુ પકડશે તેવી વાતને વધુ વેગ મળ્યો છે.
કેમ નારાજ છે હાર્દિક પટેલ?
નોંધનીય છે કે બે દિવસથી હાર્દિક પટેલ મીડિયા સામે ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, નરેશ પટેલ મુદ્દે પણ હાર્દિક પટેલે કોંગ્રેસ અને હાઇકમાન્ડને ઘણું બધુ સંભળાવ્યું. હાર્દિક પટેલે કહ્યું કે ઘણા નેતાઓ ઈચ્છે કે હું પાર્ટીને જતો રહું અને મેં રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી છતાં કોઈ નિર્ણય લેવાઈ રહ્યા નથી. તેમની નારાજગી છે કે કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં પાર્ટીમાં કશું ચાલતું નથી અને કોઈ નિર્ણય તેઓ લઈ શકતા નથી.
કોંગ્રેસ પ્રભારીના નિવેદન બાદ હાર્દિક પટેલનું ટ્વિટ
હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે.બે દિવસ પહેલા હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા.તથા તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા.તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટુ નથી તેમ જણાવ્યુ હતુ.હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું.
હાર્દિકે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
હાર્દિક પટેલને સુપ્રીમકોર્ટ તરફથી રાહત મળ્યા બાદ તેમને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.હાર્દિક પટેલે જણાવ્યું છે કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે પણ ક્યાંથી લડીશ તે હાલ નક્કી નથી.આ સાથે હાર્દિક પટેલે નરેશ પટેલના રાજ્કીય પ્રવેશને લઇને થતા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા.તથા આ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને ત્વરિત નિર્ણય લેવા માટે પણ જણાવ્યુ હતુ.