ભારતના ઇતિહાસમાં ઘણા રાજા મહારાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના બંધારણમાં 1971માં થયેલા 26માં અમેન્ડમેન્ટની સાથે જ દેશના રાજાઓને મળતી વિશેષ ઉપાધિઓ અને સાલિયાણાં સમાપ્ત કરી દેવાયા. ત્યાર બાદ ઘણા શાહી પરિવારોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે દેશમાં હજુ પણ એવા પરિવારો છે જે તેમના પૂર્વજોની જેમ જ એટલા જ દમામ અને ભભકાથી જીવન જીવે છે. તો આવો જાણીએ એવા રાજવંશી પરિવારો અને તેમના શાહી ઠાઠ વિષે.
મેવાડ રાજવંશ
મેવાડ રાજવંશનો ઇતિહાસ ઇસ 566થી ગુહાદિત્ય મહારાજાથી શરુ થાય છે. જેમણે મેવાડ રાજવંશનો પાયો નાખ્યો હતો. મેવાડી રાજવંશ મહારાણા પ્રતાપ માટે જાણીતા છે જેમણે મુઘલ રાજા અકબર સામે વીરતાપૂર્વક જંગ ખેલ્યો હતો. વર્તમાનમાં રાણા શ્રી અરવિંદ સિંહજી મેવાડ રાજવંશના 76માં સંરક્ષક છે.
તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે. તેમને તમામ શાહી દરજ્જા ઉપરાંત સમગ્ર રાજસ્થાનમાં તેમની હેરિટેજ હોટલો, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ છે. તેમની કુલ સંપત્તિ ગણવી અઘરી છે પરંતુ હમણાં તેમના પરિવારના જ બે સભ્યો વચ્ચે 1000 કરોડ જેટલી સંપત્તિ માટે કોર્ટમાં લડત ચાલી રહી છે જે દર્શાવે છે કે સમગ્ર પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે.
જયપુર શાહી પરિવાર
જયપુરનો રાજવી પરિવાર રાજપૂતોના વંશજ છે, જેને કછવાહા વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકો ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેમના અંતિમ મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો, તેથી 2002માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો.
પદ્મનાભ સિંહ આ રાજવી પરિવારની પરંપરા સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પદ્મનાભ સિંહ રાષ્ટ્રીય કક્ષાના પોલો પ્લેયર પણ છે. તેમણે તેમની પ્રોપર્ટીને અત્યારે તાજ હોટલ ગ્રુપને આપેલી છે અને તમે જયપુર આ મહેલના મહેમાન બની શકો છો. એવું કહેવાય છે કે આ પરિવારની સંપત્તિ 20 હજાર કરોડથી વધારે છે.
જયપુર પરિવારની સંપત્તિની તસ્વીરો
રાજકોટ શાહી પરિવાર
બદલાતા સમય સાથે ઘણા શાહી પરિવારોએ પોતાના રાજમહેલોને નફો રળવા માટે હોટેલોમાં પરિવર્તિત કરી દીધા. જો કે રાજકોટ શાહી પરિવારે હજુ સુધી આવું કર્યું નથી. વર્તમાનમાં માંધાતા સિંહ જાડેજા તેના પ્રમુખ છે. આ શાહી પરિવાર અત્યારે ફ્યુઅલ ડેવલપમેન્ટ અને હાઈડ્રોપાવર પ્લાન્ટમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે. આ જ વર્ષે માંધાતા સિંહ જાડેજાને રાજવી તરીકે સ્થાપીત કરવામાં આવ્યા છે.
જોધપુર શાહી પરિવાર
જોધપુર રાઠોડ વંશ દ્વારા શાસિત રહેલું છે. 8મી સદીથી અહીં રાઠોડ મહારાજાઓએ શાસન કર્યું છે. વર્તમાનમાં મહારાજા ગજસિંહ બીજા તેમના પ્રમુખ છે.
આ શાહી પરિવારની જોધપુરમાં ભવ્ય હવેલી છે.આ ઉપરાંત ઉમ્મેદભવન અને મેહરાનગઢ કિલ્લો પણ તેમની માલિકીનો છે.
બિકાનેર શાહી પરિવાર
બિકાનેર શહેર પૂર્વ બિકાનેર સ્ટેટની રાજધાની હતી. 1488માં રાવ બિકાએ આ શહેરની સ્થાપના કરી હતી. બિકાનેર શાહી પરિવારનું વર્તમાનમાં નેતૃત્વ મહારાજાધિરાજ નરેન્દ્ર સિંહજી કરી રહ્યા છે. તેઓ બિકાનેરના 25માં મહારાજ છે.
વડોદરાનો ગાયકવાડ પરિવાર
ગાયકવાડ રાજવંશના હાલના રાજવી સમરજિત સિંહ ગાયકવાડ છે. મરાઠાઓના આ વંશજ 18મી સદીમાં વડોદરા આવીને વસ્યા હતા અને વડોદરાનો વહીવટ હાથમાં લીધો હતો. વડોદરા નગરીના હાલના સુશાસનના પાયા ગાયકવાડ વંશના મહારાજા સયાજીરાવ ગાયકવાડે નાખ્યા હતા. અત્યારના ગાયકવાડ શાસક 20 હજાર કરોડથી વધારેની સંપત્તિ ધરાવે છે જેમાં લક્ષ્મી વિલાસ પેલેસનો પણ સમાવેશ થાય છે. વિશ્વવિખ્યાત લંડનના બકિંગહામ પેલેસ કરતા વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ 4 ગણો વધુ મોટો છે.