ભારતમાં કોરોના વાયરસના નવા કેસોએ આજે ફરીથી રેક્રોડ તોડી નાખ્યો. ટેસ્ટિંગની સંખ્યા જેમ જેમ વધારવામાં આવી રહી છે તેમ તેમ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ સામે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે જ્યાં ભારતમાં આજે એક સાથે 60 હજાર કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
ભારતમાં અત્યાર સુધી 20 લાખ દર્દીઓ સાજા થયા
એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 60 હજાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
દેશનો કોરોના સામે રિકવરી રેટ 73 ટકા પર
ભારતમાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે આજે એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓ સાજા થયા છે. ભારતમાં એક સાથે 60,091 દર્દીઓ સાજા થતાં રિકવરીનો કુલ આંક 20 લાખને પાર થઇ ગયો છે.
ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો
દર્દીઓ સતત વાયરસને મ્હાત આપીને જંગ જીતી રહ્યા છે ત્યારે અત્યારે રિકવરી રેટ પણ વિક્રમજનક સ્તર પર પહોંચી ગયો છે જ્યાં 73 ટકા દર્દીઓ સાજા થઇ ગયા છે અને સામે મૃત્યુદરમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે, વર્તમાનમાં મૃત્યુદર ઘટીને 1.91 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે જે હાલ 24.45 ટકા છે. ભારતમાં અત્યાર સુધી 13,61,356થી વધારે દર્દીઓએ કોરોના સામે જંગમાં જીત હાંસલ કરી છે અને 6,76,514 એક્ટિવ કેસ છે.
મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો
વધતાં જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારો દ્વારા મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર (DCCC), ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) અનેડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ(DCH)ની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યારે દેશમાં 1667 DCH, 3455 DCHC અને 11,597 DCCC બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 15,45,206 આઈસોલેશન બેડ, 53,040 આઈસીયુ બેડ છે.