દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણના એક ટ્વીટ બાદથી મંદિરોના સોનાના ભંડાર મુદ્દે વિવાદ છેડાયો છે. સોશિયલ મીડિયામાં સંકટના સમયમાં દાનમાં મળેલ સોનાનો ઉપયોગ કરવો કે નહીં તેના પર ચર્ચાઓ થઇ રહી છે ત્યારે એક અહેવાલમાં ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટ પાસે રિઝર્વ સોના અંગે ચોંકાવનારી વિગત સામે આવી છે.
પૃથ્વીરાજ ચવ્હાણે મંદિરોનું સોનું ઉપયોગમાં લેવા કરી અપીલ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં બે હજાર ટન સોનું
વકફ બોર્ડ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિઓ
RBI કરતા ત્રણ ગણું સોનું
એક અહેવાલ મુજબ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં બે હજાર ટન સોનું છે. વિવિધ અહેવાલોમાં અંદાજોમાં આ રિઝર્વ 3 થી 4 હજાર ટનનું પણ બતાવવામાં આવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર દેશની રિઝર્વ બેંક પાસે જેટલું સોનું છે તેના કરતા પણ ત્રણ ગણું સોનું દેશના મંદિરો પાસે છે. જૂન 2019ના અહેવાલ મુજબ RBI પાસે 618 ટન સોનું ઉપલબ્ધ છે. અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા આપવામાં આવેલ એક જવાબ અનુસાર દેશભરમાં 6 લાખ એકર વક્ફ ભૂમિ છે અને તેની કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે.
ક્યારે શરુ થયો વિવાદ ?
આશરે બે અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ CMના એક ટ્વીટ બાદ દેશના મંદિરોના સોના મુદ્દે વિવાદ છેડાયો હતો. તેમણે કહ્યું હતું કે દેશના મંદિરો પાસે એક ટ્રિલિયન ડોલરથી વધારે સોનું છે. ભારત સરકારે આ સોનાનો ઉપયોગ કરવો જોઈએ. આપાતકાલની પરિસ્થિતિમાં સરકાર ગોલ્ડ બોન્ડ્સના માધ્યમથી ઓછા વ્યાજદર પર સોનું ઉધાર લઇ શકે છે. જોકે તેમના ટ્વીટ બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપ નેતાઓએ કોંગ્રેસની તુલના આક્રમણકારી મુઘલો સાથે કરી નાખી.
સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
જોકે આ વિવાદને બે અઠવાડિયાનો સમય વીતી ગયો છે પરંતુ સોશિયલ મીડિયામાં હજુ આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે દેશના મંદિરો પાસે કેટલું સોનું છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં ? જે બાદ સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની રીતે માહિતીઓ આપી રહ્યા છે કે કોની પાસે કેટલું સોનું છે.
સોનું ઉધાર આપવા મંદિરો તૈયાર નથી
જોકે હાલમાં મોટા ભાગના ટ્રસ્ટનું માનવું છે કે મંદિરમાં શ્રદ્ધાળુઓ ભગાવનને દાન આપે છે, સરકારને દાન કે ઉધાર આપવા માટે નહીં. દાન સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે, ટ્રસ્ટ આ વિશ્વાસને તોડી શકે નહીં. નિષ્ણાતો અનુસાર પણ દેશમાં હાલ એવી પરિસ્થિતિ નથી આવી કે મંદિરોનું સોનું લેવાની જરૂર પડે કારણ કે વર્તમાનમાં કેન્દ્રીય બેંક પાસે પર્યાપ્ત ગોલ્ડ રિઝર્વ છે. વર્ષ 1990માં સરકારે રિઝર્વમાં રાખેલ સોનાની ગીરવે મૂકવાની હાલત થઇ ગઈ હતી જોકે દેશમાં હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી.
પીએમ મોદીએ શરુ કરી હતી યોજના
વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં મન કી બાતમાં PM એ કહ્યું હતું કે સોનાને ડેડ મની તરીકે રાખવું આ યુગમાં શોભા નથી દેતું. તેમણે લોકો અપીલ કરી હતી કે સોનાને ઘરમાં ન રાખીએ, બેંકને આપી સામે વ્યાજ મેળવીએ તથા પોતે અને દેશને આર્થિક મદદ કરીએ. નોંધનીય છે કે રાજ્યસભા સાંસદ રંજીબ બિસ્વાલે મંદિરો પાસે સોનાના ભંડાર વિશે સવાલ કર્યો હતો જેના જવાબમાં નાણા મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો કે આ મુદ્દે તેમની પાસે કોઈ આંકડાંઓ નથી.