રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત બંનેમાંથી કોઈનો પક્ષ લઈ શકે એવી સ્થિતિમાં નથી. ભારત માટે વિદેશનીતિના સંદર્ભમાં આ મોટી જવાબદારી આવી પડી છે. જાણો શા માટે આ નિર્ણય મહત્વનો છે.
રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતની હાલત ખરાબ
ભારતે UN માં મતદાન નથી કર્યું
ભારત માટે કોઈનો પણ પક્ષ લેવો મુશ્કેલ
રશિયા યુક્રેન મુદ્દે ભારતની ભૂમિકા હાલ તટસ્થ છે. ભારતે એક સપ્તાહમાં બીજી વખત સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવ પર મતદાન કરવાથી પોતાને દૂર રાખ્યું હતું .
ભારતે રવિવારે યુક્રેન પર રશિયાના હુમલા અંગે યુએન જનરલ એસેમ્બલીનું "સ્પેશિયલ ઇમરજન્સી સત્ર" બોલાવવા માટે યુએન સુરક્ષા પરિષદના મતદાનમાં ભાગ લીધો ન હતો. તો સામે બેલારુસ સરહદ પર રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું છે. ભારતની વિદેશનીતિ હાલ શાંતિથી બંને પક્ષો વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવે તેના તરફી છે. કારણ કે ભારત હાલના સંજોગોમાં કોઈ સાથે દુશ્મની રાખી શકે એવી હાલતમાં નથી.
ભારતે કોઈનો પણ પક્ષ લેવાનું ટાળ્યું
આ પહેલા શુક્રવારે પણ ભારતે યુક્રેન પર રશિયન હુમલા અંગે યુએનના ઠરાવ પર વોટિંગ કરવાથી પોતાને દૂર રાખ્યું હતું. ભારત ઉપરાંત ચીન અને સંયુક્ત આરબ અમીરાતે પણ આ ઠરાવ માટે મતદાનમાં ભાગ લીધો ન હતો.
ભારતે યુક્રેન પર રશિયન હુમલાની નિંદા પણ નથી કરી રહ્યું અને વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન શોધવાનો આગ્રહ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ભારત યુક્રેનને લઈને આટલું સાવધાન પગલું કેમ લઈ રહ્યું છે?
આ રહ્યા તેની પાછળના મુખ્ય કારણો
રશિયા પણ UN security council માં તમામ મુદ્દાઓ પર ભારત સાથે ઊભું છે. અગાઉ પણ રશિયા ભારતના સમર્થનમાં યુએનથી લઈને બીજી રાજકીય કૂટનીતિ ભરી બાબતોમાં પણ મોટું સપૉર્ટર રહ્યું છે. એ હિસાબે રશિયા મિત્ર રાષ્ટ્ર રહ્યું છે.
ભારત માટે યુક્રેન સંકટ બે પોલ વચ્ચે બાંધેલા દોરડા પર ચાલવા જેવું છે, જેના કારણે તે (ભારત) તેના જૂના મિત્ર રશિયા અને પશ્ચિમના નવા મિત્રો જેવા કે અમેરિકા અને યુરોપિયન દેશોના દબાણનો સામનો કરી રહ્યું છે.
ભારતને હથિયારોની મદદ રશિયા પાસેથી
રશિયા ભારતનું સૌથી મોટું હથિયાર સપ્લાયર છે અને તેણે ભારતને બેલેસ્ટિક મિસાઈલ સબમરીન આપી છે. આ અગાઉ પાકિસ્તાન સામે વોર ઓપરેશન સહિત ઘણા યુદ્ધો અને ઓપરેશન્સમાં રશિયન બનાવટના વિમાનો ભારતને મદદરૂપ રહ્યા છે.
ભારત પાસે 272 સુખોઈ 30 ફાઈઝર જેટ છે. ભારતને આ માત્ર રશિયા પાસેથી જ મળ્યું છે. ભારત પાસે કિલો વર્ગની સબમરીન અને 1,300 થી વધુ T-90 ટેન્કસ છે, જે રશિયા દ્વારા જ આપવામાં આવી છે. આમ ભારતને સસ્તા ભાવે અને સારામાં સારા હથિયાર રશિયા પાસેથી મળી રહે છે.
અમેરિકન દબાણ છતાં, ભારત રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે અડગ રહ્યું. S-400 એ રશિયાની સૌથી અદ્યતન લાંબા અંતરની સપાટીથી હવામાં મિસાઈલ સિસ્ટમ છે. આ મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે ભારતે 2018માં રશિયા સાથે $5 બિલિયનની ડીલ કરી હતી.
રશિયા ભારતનું જૂનું મિત્ર
રશિયા ભારત સાથે ઘણા કપરા સમયમાં પડખે ઊભું રહ્યું હોવાથી જો આ સંજોગોમાં રશિયાને ભારત સમર્થન ન આપે તો સંબંધ બગડે એવી સ્થિતિ છે. અગાઉ રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોરના સમયે ભારતે રશિયાને ખુલ્લુ સમર્થન ન આપીને પોતાના જૂન મીટરની નારાજગી વહોરી લીધી હતી. હવે ફરી એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. પણ સામે પક્ષે યુક્રેન પોતાના સર્વભૌમત્વ માટે લડી રહ્યું છે ત્યાં ઘણા નાગરિકો પણ જીવ ગુમાવી રહ્યા છે. ભારત હંમેશા અહિંસાનું સમર્થક રહ્યું હોવાથી જો આ સમયે હિંસાનું સમર્થન કરે તો તે તેના મૂલ્યો અને સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે.
સ્ટ્રોંગ કલેક્ટિવ રીએક્શન
બીજી તરફ અમેરિકાએ પણ રશિયા સામે આકરી પ્રતિક્રિયા માટે ભારત પર દબાણ વધાર્યું છે. અમેરિકા સાથે ભારતને છેલ્લા કેટલાક સમયમાં ખૂબ સરાસરી બની રહી છે. અમેરિકા પાસેથી વ્યાપાર અને રોકાણની ભારતની ઈચ્છા છે અને અમેરિકાને પણ ભારતનો ગ્રાહક વર્ગ મોટાપાયે જોઈએ છે. માટે આ સંબંધો આગળ વધારવા જરૂરી છે એવામાં જો ભારત અમેરિકાની વિરુદ્ધ જાય તો તેના અને NATO ના દેશો વચ્ચે ખટરાગ ઊભો થાય.
નાટોમાં એક બે નહીં ને વિશ્વના 30 મહત્વના દેશો સામેલ છે. કાલે ઊઠીને ભારતને કોઈ પણ પગલું ઊઠવાનું થાય અને સમર્થનની જરૂર પડે તો આ 30 રાજ્યો પહેલા જ પોતાનો ટેકો પાછો ખેંચી લે એ શક્યતાને કોઈ નકારી ન શકે . માટે સારી વિદેશનીતિ જાળવવા માટે ભારત પાસે તેમની સાથે પણ સંબંધ બગાડવાનો વિકલ્પ નથી.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી. બ્લિંકને રશિયાના યુક્રેન પર પૂર્વ આયોજિત અને ગેરવાજબી હુમલા ને વખોડવા માટે મજબૂત સામૂહિક પ્રતિભાવ એટલે કે સ્ટ્રોંગ કલેક્ટિવ રીએક્શન ના મહત્વ પર ભાર મૂક્યો હતો.ભારત માટે અમેરિકા સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજીમાં મુખ્ય ભાગીદાર છે. માટે ભારત સાથેના સંબંધો જોતાં અમેરિકાને પણ આશા હોય એ સ્વભાવીક છે.
ભારત સ્ટેન્ડ લે તો શું થાય?
માની લો કે ભારત રશિયાનું સ્ટેન્ડ લે તો વગર અમેરિકા સહિત નાટો દેશો સાથે સંબંધ બગડે. અને પાછળથી પાકિસ્તાન જેવા મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને જરૂર પડે ત્યારે સમર્થન ન મળે! સામે જો ભારત યુક્રેનનું સ્ટેન્ડ લે તો ભારતને રશિયા જેવુ મજબૂત મિત્ર ગુમાવવાનો વારો આવે. યાદ રહે કે ભારત પાસે યુનાઈટેડ નેશન્સમાં સિક્યોરીટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદૂ નથી. માટે જ્યારે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કે બીજા કોઈ પણ મુદ્દે ભારતને રશિયાનાં વિટો પાવરની જરૂર પડે ત્યારે ભારતને એ સમર્થન પણ ગુમાવવાનો વારો આવે.
વાતચીત એકમાત્ર રસ્તો
ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન સંકટનો સામનો કરવા માટે કૂટનીતિ અને વાતચીતના માર્ગ પર પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભારતે કહ્યું કે મતભેદોને ઉકેલવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે. એટલું જ નહીં પણ આ સમસ્યામાં મુત્સદ્દીગીરીનો માર્ગ છોડી દેવાનો "ખેદ" પણ ભારતે વ્યક્ત કર્યો હતો. ભારતે એમ પણ કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની ચિંતા કરવી પણ ભારતની પ્રયોરીટી છે.
આ તમામ સમીકરણો જોતાં તો હાલ ભારત પાસે નવ બોલવામાં નવ ગુણ અને વચ્ચેનો માર્ગ અપનાવવા તથા વાર્તાલાપના માર્ગને સમર્થન આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.