દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ 15 સપ્ટેમ્બરથી ધર્મશાલામાં શરૂ થઇ રહેલી ભારતની ત્રણ મેચોની ટી-20 ઘરેલૂ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન થઇ ગયું છે. બીસીસીઆઇએ ગુરુવારે ટીમનું એલાન કર્યું.આ ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઇ છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ કરાયું નથી.
પહેલાથી માનવામાં આવતું હતું કે દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ધોનીને ટીમમાં જગ્યા નહીં મળે. ટીમના એલાનની સાથે જ આ વાત પર મહોર લાગી ગઇ છે. આ સીરિઝમાં પહેલી મેચ ધર્મશાલામાં રમવામાં આવશે. જ્યારે અન્ય બે મેચો મોહાલી (18 સપ્ટેમ્બર) અને બેગાલુંરુ (22 સપ્ટેમ્બર)માં રમવામાં આવશે. હાલમાં જ ટીમ ઇન્ડિયાએ વેસ્ટઇન્ડીઝને 3.0 હરાવી હતી.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 માટે રમનારી ટીમ ઈન્ડિયા
ટીમની પસંદગી પહેલા એમ પણ કહેવામાં આવ્યું કે ખેલાડીઓને ઓક્ટોબર 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ ટી-20 ને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે. જો આ વાતને યોગ્ય માનવામાં આવે તો એ વાતના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્લ્ડ ટી-20માં નજર નહીં આવે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ ટીમ પસંદગીના એક દિવસ પહેલા બુધવારે કહ્યું હતું, 'વિશ્વ ટી-20ની પહેલી મેચથી પહેલા ભારતીય ટીમ માત્ર 22 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને પસંદગીકર્તા સ્પષ્ટ છે કે આ આગળ વધવાનો સમય છે.'
એમણે કહ્યું હતું, 'એમણે મર્યાદિત ઓવરો માચે વિશેષકર ટી-20 માટે 3 વિકેટકીપરોનો પૂલ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યા છે.' બીસીસીઆઇ અધિકારીના આ નિવેદન બાદ પસંદ કરાયેલ ટીમમાં ધોનીનુ નામ ન હોવું એ પ્રશ્ન ઉભો કરે છે કે બોર્ડ અંતે કયા 3 વિકેટકીપરોની વાત કરી રહ્યું છે.
આ ટીમમાં ઋષભ પંતનું નામ સામેલ છે. અને તે ગત કેટલીક મેચોથી ટીમ ઇન્ડિયાની સાથે છે. એવામાં બોર્ડ તેમના નામ પર સહમત છે. ઋષભ સિવાય બે અન્ય વિકેટકીપરોમાં ઇશાન કિશન અને સંજૂ સેમસનને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. પંત તમામ ફોર્મેટમાં પહેલો વિકલ્પ બની રહ્યો છે.