ભારત અને નેપાળના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. ભારત અને નેપાળનો પૌરાણિક નાતો છે પરંતુ ચીનની સોડમાં આવીને નેપાળ અવળચંડાઈ કરી રહ્યું છે. એવામાં આજે નેપાળની સરકારે શનિવારે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના દર્શાવી સંસદમાં નવો નકશો પાસ કરાવી લીધો છે. નેપાળના આ નિર્ણયના કારણે હવે સંબંધોમાં વધુ ખટાશ આવશે તે નિશ્ચિત છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે પણ નેપાળના નકશા મામલે કહ્યું છે કે ભારતને આ માન્ય નથી.
નેપાળે ગઈકાલે પસાર કરી દીધો નવો નકશો
નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાના ભાગમાં દર્શાવી લીધા
ભારતે કહ્યું આ વાતચીતના નિયમોનું ઉલ્લંઘન
નેપાળની સંસદમાં વિવાદિત નકશો પાસ થઇ ગયા બાદ પહેલીવાર ભારતે પ્રતિક્રિયા આપી છે. નેપાળને વળતો જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળનો દાવો ઐતિહાસિક પૂરાવાઓ પર આધારિત નથી અને તેનો કોઈ અર્થ પણ નથી. નેપાળનો આ દાવો અમને માન્ય નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમે ધ્યાન આપ્યું કે નેપાળની સંસદમાં નવો નકશો પસાર થઇ ગયો છે અને આ મામલે પોતાની સ્થિતિ પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. નેપાળનો આ નિર્ણય વાતચીતથી સીમા વિવાદના સમાધાનના નિયમનું ઉલ્લંઘન છે.
નેપાળના નવા નકશાને કાનૂની માન્યતા આપવા માટે ગઈકાલે સંસદમાં વોટિંગ કરવામાં આવ્યું અને 275 સભ્યો ધરાવતી સંસદમાં નેપાળના નવા નકશાના સમર્થનમાં 258 વોટ પડ્યા. નવા નકશામાં નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાના ભાગમાં દર્શાવી લીધા છે.
ભારતે મદદ કરી છતાં...
ભારતે કોરોના કાળમાં નેપાળની ખૂબ મદદ કરી છે. અમુક એવા દેશો જેને હાઈડ્રોકસીક્લોરોક્વીન આપવામાં આવી તેમાં નેપાળ પણ સામેલ છે. વિદેશોમાં ફસાયેલા નેપાળી લોકોને નીકાળવામાં પણ ભારતે હાથ આગળ કર્યો. સરહદ પર વિવાદ થયો છતાં ભારતે માનવતા રાખી અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય રોકી નથી.
શું છે નકશાનો વિવાદ
નોંધનીય છે કે થોડા સમય પહેલા નેપાળની સરહદ પાસે ભારતે એક માર્ગનું નિર્માણ કર્યું જેનો ઉદ્દેશ કૈલાશ માનસરોવર યાત્રાનો હતો પરંતુ નેપાળને તેનાથી વાંધો છે. નેપાળનું માનવું છે કે તે વિસ્તાર નેપાળનાં જ છે. નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પર પોતાનો દાવો કર્યો અને નવો નકશો પણ જાહેર કરી દીધો. હવે આ નકશો સંસદમાં પાસ કરી દેવામાં આવ્યો છે.
સીતામઢીમાં કરી હતી અવળચંડાઈ
એક તરફ આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં શુક્રવારે નેપાળની પોલીસે સીતામઢીમાં અંધાધુંધ ફાયરીંગ કરી જેમાં ચાર ભારતીયોને ગોળી વાગી અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સ્થાનિકો કહી રહ્યા છે કે નેપાળની પોલીસે પહેલા તો અંધાધુંધ ફાયરીંગ કરી અને પછી તે લાશને ઢસડીને લઇ ગયા હતા. નેપાળ પોલીસ વિરુદ્ધ ગ્રામીણ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.