કોરોનાની મહામારી વચ્ચે પ્રદૂષણને લઇને ખતરનાક આંકડા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે હવામાં ખતરનાક ઝેર ભળવાનું શરૂ થઇ ગયું છે. નિષ્ણાતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રદૂષણને કારણે કોરોના વાઇરસ વધુ ખતરનાક બની શકે છે.
કોરોના મહામારી વચ્ચે પ્રદૂષણનો બિહામણો ચહેરો
15 ઓક્ટોબરથી પ્રદૂષણની ઇમરજન્સી લાગૂ
પ્રદૂષિત હવાથી સંક્રમણના કેસમાં મોતનું જોખમ 15 ટકા વધુ
પ્રદૂષણ એટલી હદે વધી રહ્યું છે કે દિલ્હી અને NCR માં ૧પ ઓકટોબરથી પ્રદૂષણની ઇમર્જન્સી લાગુ થઇ ગઇ છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન GRAP એવું નામ આપવામાં આવ્યું છે. ગ્રેપ લાગુ થવાના પ્રથમ દિવસથી જ દિલ્હી ના વિવેક વિહાર વિસ્તારમાં એર કવોલિટી ઇન્ડેકસ AQI ૩૭૦ કરતાં વધુ નોંધાયો હતો. જે અત્યંત ગંભીર સ્થિતિ ગણી શકાય.
પ્રદૂષણના કારણે લોકોનું શ્વસન તંત્ર નબળું થશે
પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટર PRSC ના જણાવ્યા અનુસાર અનુસાર આ વર્ષે ગઇ સાલથી લગભગ ચાર ગણું પરાળ સળગાવવામાં આવ્યું છે. તેના કારણે દિલ્હી-NCR ની હવા વધુ ઝેરી થવા લાગી છે. પ્રદૂષણ ને કારણે લોકોનું શ્વસનતંત્ર વધુ નબળું થશે અને નબળાં શ્વસનતંત્ર પર કોરોનાનો હુમલો વધુ બિહામણો હશે. કોરોના વાઇરસના ખતરા અને વાયુ પ્રદૂષણને ગાઢ સંબંધ છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે હાર્વર્ડ યુનિવર્સિટીને ટાંકીને જણાવ્યું છે કે કોરોના ના જે દર્દીઓ પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે તેમની રિકવરી ઘણી ધીમી થઇ જાય છે અને તેઓ જલદી સાજા થતા નથી. અમેરિકામાં આ અંગે હાથ ધરવામાં આવેલ સંશોધનમાં ૩૦૮૦ વિસ્તારોને આવરી લેવાયા હતા.
પ્રદૂષિત હવામાં કોરોના સંક્રમિત થતાં લોકોમાં મૃત્યુનું જોખમ 15 ટકા વધુ
આ સંશોધન પરથી એવું પુરવાર થયું છે કે હવામાં જે પાર્ટિકલ પીએમ હોય છે તેને કોરોનાના મૃત્યુ સાથે કનેકશન છે. અમેરિકન સ્ટેટ મેનહટને છેલ્લાં ર૦ વર્ષમાં પ્રદૂષણનું સ્તર થોડું પણ ઘટાડયું હોત તો ત્યાં કોરોનાથી થયેલા સેંકડો મૃત્યુમાં ઘણો ઘટાડો થઇ શકયો હોત. અભ્યાસના આંકડાઓ દર્શાવે છે કે પ્રદૂષિત હવામાં રહેતા લોકો જો કોરોના સંક્રમિત થાય તો તેમના મૃત્યુનું પ્રમાણ ૧પ ટકા જેટલું વધી જાય છે.
એક બાજુ ચોમાસું વિદાય લઇ રહ્યું છે અને બીજી બાજુ પાટનગર નવી દિલ્હી વાયુ પ્રદૂષણ ની ચપેેટમાં આવી ગયું છે. દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઇ ગઇ છે. આજે સવારે કેટલાય વિસ્તારોમાં એર કવોલિટી ઇન્ડેકસને ખરાબ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે.
એર ક્વોલિટી બદતર બનતા ઘરની બહાર નીકળવું સલાહ ભર્યું નથી
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે વાયુ પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બનતાં ઓછામાં ઓછા ડિસેમ્બરના અંત સુધીમાં લોકોને ઘરની બહાર નીકળવું સલાહભર્યું નથી અને એર કવોલિટી વધુ બદતર બનતાં બહાર જવાથી લોકો ફેફસાં, શ્વાસ વગેરેની બીમારીનો ભોગ બની શકે છે.
સરકારી એજન્સી સિસ્ટમ ઓફ એર કવોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એ જણાવ્યું છે કે પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વધુ વણસી છે. દિલ્હીનાં પ્રદૂષણમાં પરાળનાં સળગાવવાનો નો હિસ્સો ૪૬ ટકા જેટલો વધી ગયો છે.
હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાના આદેશ
પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત એકમ વાતાવરણ પ્રદૂષણ (બચાવ અને નિયંત્રણ) પ્રાધિકરણ EPCA ને આ સ્થિતિને હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવાનો આદેશ કર્યો છે અને પ નવેમ્બર સુધી તમામ પ્રકારનાં બાંધકામ અટકાવી દેવાની જાહેરાત કરી છે.દિલ્હીમાં તાજેતરમાં ટોટલ એર કવોલિટી ઇન્ડેકસ ૪૮૪ રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે ગંભીર કેટેગરીમાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૦-પ૦ સુધીના એર કવોલિટી ઇન્ડેકસને સારો, પ૧-૧૦૦ સંતોષકારક, ૧૦૧-ર૦૦ મધ્યમ, ર૦૧-૩૦૦ ખરાબ, ૩૦૧-૪૦૦ વધુ ખરાબ, ૪૦૧-પ૦૦ ગંભીર અને પ૦૦થી ઉપરનો એર કવોલિટી ઇન્ડેકસ અતિ ગંભીર અને ઇમર્જન્સી સ્થિતિ તરીકે ગણવામાં આવે છે. વાયુ પ્રદૂષણ પર પુસ્તક લખનાર લેખિકા બેથ ગાર્ડાઇનરે જણાવ્યું છે કે ભારત જેવા પ્રદૂષિત દેશમાં કોરોનાની સમસ્યા વધુ બિહામણી બનશે.