ગુરુવારનો દિવસ ભારત માટે મોટી કસોટી બની રહેવાનો છે.
ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત માટે કસોટીનો દિવસ
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાને હાંકી કાઢવાના મુદ્દે થવાનું છે વોટિંગ
ભારતે ફરજિયાત હાજર રહેવું પડે તેવી સ્થિતિ
રશિયા કહી ચૂક્યું છે-જે દેશ વોટિંગ નહીં કરે તે તેનો દુશ્મન ગણાશે
રશિયા અને યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આજે એક મહત્વનું મતદાન થવાનું છે અને દર વખતની જેમ આ વખતે ભારત ગુલ્લી મારી શકે તેવી સ્થિતિમાં નથી. ભારત રશિયા-યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં ભારત માટે આજનો દિવસ અગ્નિપરીક્ષા સમાન છે. અમેરિકા રશિયાને 47 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી હાંકી કાઢવાનો સંકલ્પ લઈને આવી રહ્યું છે. અમેરિકાના આ પ્રસ્તાવ પર આજે મતદાન થવાનું છે.
ભારત વોટિંગથી દૂર રહેશે તો રશિયા માનશે દુશ્મન
જો ભારત વોટિંગમાં ભાગ નહીં લે તો રશિયા તેને પોતાનો વિરોધી માનશે. કારણ કે રશિયા પહેલા જ કહી ચૂક્યું છે કે જે લોકો આ મતથી દૂર રહેશે તેમને રશિયન વિરોધી માનવામાં આવશે. બીજી તરફ અગાઉ રશિયા સામે લાવવામાં આવેલા ઠરાવો અંગે ભારતનું વલણ યોગ્ય હતું અને તેણે મતદાનમાં ભાગ લીધો ન હતો. પરંતુ આ વખતે વાત તદ્દન અલગ છે. જો આ પ્રસ્તાવ પરનો મત પાછો ખેંચી લેવામાં આવે તો તેનો ફાયદો પશ્ચિમી દેશોને થશે. એટલા માટે રશિયા પહેલા જ કહી ચૂક્યું છે કે જે પણ દેશ મતદાનથી હટશે તેને રશિયા વિરોધી માનવામાં આવશે.
અમેરિકા રશિયાને યુએનમાંથી હાંકી કાઢવા માટે લાવી રહ્યું છે પ્રસ્તાવ
યુક્રેનના બુચામાં રશિયાએ જે નરસંહાર સર્જ્યો તેને કારણે આખી દુનિયા ખળભળી ઉઠી છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ આકરા પાણીએ આવ્યું છે. અમેરિકા રશિયાને યુએનમાંથી હાંકી કાઢવા માટે એક પ્રસ્તાવ લાવી રહ્યું છે જેના મુદ્દે આજે વોટિંગ થવાનું છે.
બુચા નરસંહાર બાદ અમેરિકા રશિયા સામે લાવી રહ્યું છે પ્રસ્તાવ
યુક્રેનની રાજધાની કિવના ઉપનગર બુચાથી નાગરિકોના મૃતદેહની ભયાનક તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે રશિયાને 47 સભ્યોની માનવ અધિકાર પરિષદમાંથી હટાવવાની વાત કહી હતી. આ કૃત્યોની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે અને રશિયા પર વધુ કડક પ્રતિબંધોની માંગ પણ કરવામાં આવી છે. જોકે રશિયાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
રશિયન દળોએ યુક્રેનમાં યુદ્ધ અપરાધો કર્યા-અમેરિકા
થોમસ-ગ્રીનફિલ્ડે સોમવારે કહ્યું: "અમને ખાતરી છે કે રશિયન દળોએ યુક્રેનમાં યુદ્ધ અપરાધો કર્યા છે અને અમારું માનવું છે કે આ માટે રશિયાની જવાબદારી નક્કી થવી જોઈએ." "હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં રશિયાની ભાગીદારી એક પ્રપંચ છે. 'જનરલ એસેમ્બલીના પ્રવક્તા પૌલિના કુબિયાકે બુધવારે જણાવ્યું હતું કે યુક્રેન પર જનરલ એસેમ્બલીનું ઇમરજન્સી વિશેષ સત્ર ગુરુવારે સવારે 10 વાગ્યે (ઇડીટી) ફરી શરૂ થશે. તે પછી જ "રશિયન ફેડરેશનની માનવાધિકાર પરિષદમાં સભ્યપદના અધિકારોને સ્થગિત કરવાના" ઠરાવ પર મત આપવામાં આવશે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન મુદ્દે નવ વખત મતદાન કરવાનું ટાળ્યું છે. જેમાં સામાન્ય સભામાં બે વખત મતદાન કરવાનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં પણ ભારતે ભાગ લીધો ન હતો. માનવ અધિકાર પરિષદ જીનીવામાં આવેલી છે, તેના સભ્યોની ચૂંટણી 193 દેશોની જનરલ એસેમ્બલી દ્વારા ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે.