નોબલ પારિતોષિક વિજેતા અભિજિત બેનર્જીએ હમણાં નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં ન્યુનતમ વેતન વધારવામાં આવે અને નીચલા વર્ગને સામાજિક સુરક્ષા આપવામાં આવે તે આ આર્થિક મંદીના ઉપાય તરીકે ખુબ જરૂરી પગલું છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે કામદારોના ન્યુનતમ વેતનની હાલમાં શું જોગવાઈ છે અને શું 2019નો Code of Wages કાયદો કામદારોને ફાયદાકારક પુરવાર થશે?
ભારતમાં મજૂરીના ન્યુનતમ વેતન માટે આ વર્ષે કમર કસી છે. બંધારણમાં રોજગારીના ન્યુનતમ વેતનના અટપટા નિયમોને સરળ કરીને તમામ લેબરના કાયદા હવે 4 કાયદાઓની અંદર આવરી લેવામાં આવશે. Code of Wages એટલે કે વેતનનો કાયદો 2019 જેને 8 ઓગસ્ટે રાષ્ટ્રપતિની સંમત્તિ મળી છે અને તેનું અમલીકરણ થઇ ચૂક્યું છે.
વેતનનો કાયદો 2019
આ કાયદાનો હેતુ ભારતના ન્યુનતમ વેતનના જટિલ કાયદાઓને સરળ કરવાનો અને ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ સેક્ટરના તમામ કામદારોને એક જ કાયદા હેઠળ ઢાળી દેવાનો છે.
આ ઉપરાંત સરકારે Draft Labour Code on Social Securityનો પણ પ્રસ્તાવ મુક્યો છે એ અંતર્ગત દેશના સમગ્ર કામદારોને એક માળખામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતના મોટા ભાગનો કામદાર વર્ગ અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં છે આથી તેમના હિતોની સુરક્ષા થાય તે ખુબ જરૂરી છે. કમનસીબે આ કામદારોની પેન્શન યોજના મુજબ મળતી રકમ ખુબ ઓછી છે જે વધતી ઉંમરે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અક્ષમ છે.
શું છે ન્યુનતમ વેતન?
બંધારણમાં આર્ટિકલ 23 દેશની પ્રજાને forced labour એટલે કે વેઠ સામે અધિકાર આપે છે. 1957માં 15મી Indian Labour Conferenceમાં નક્કી કરવામાં આવ્યું કે ન્યુનતમ વેતન 4 બાબતોથી નક્કી થાય છે. 1) ખોરાક 2) કપડાં 3) રહેઠાણ 4) અન્ય જરૂરિયાતો. આટલા સંસાધનો પરિવારના 3 વ્યક્તિઓની જરૂરિયાત સંતોષી શકે તેટલા હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે 1982માં એક નિવેદન આપ્યું હતું કે કામદારોને ન્યુનતમ વેતનથી ઓછો પગાર આપવો એ વેઠ છે અને બંધારણમાં જીવન નિર્વાહમાં જરૂરી વેતનનો હક આપેલો છે.
શું છે જીવન નિર્વાહ માટે જરૂરી વેતન?
આ વેતન જીવન જરૂરિયાત માટે જ નહિ પરંતુ વ્યક્તિને થોડીક કમ્ફર્ટ પણ આપી શકે જેમ કે સંતાનોનું શિક્ષણ, આરોગ્યની જરૂરિયાતો, તહેવારોની ઉજવણી માટે પૈસા, લગ્નનો ખર્ચ અને નિવૃત્તિ માટે બચત વગેરે ને જીવન નિર્વાહ માટે જરૂરી વેતન કહે છે.
ઉલ્લેખનીય છે કે ન્યુનતમ વેતનને વ્યક્તિ કયા પ્રકારની મજૂરી કરી રહ્યો છે તેની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ નવા Wages Code 2019 મુજબ ન્યુનતમ વેતન કામદારની કુશળતા એટલે કે skillsના આધારે નક્કી કરવામાં આવશે. કામદારોને આ માટે unskilled, skilled, semi-skilled અને highly-skilled તથા ભૌગોલિક વિસ્તાર મુજબ વર્ગીકૃત કરવામાં આવશે.
આ કાયદામાં સુપ્રીમ કોર્ટની સૂચના મુજબના જીવન નિર્વાહ અથવા ન્યુનતમ ઘર ખર્ચનો કોઈ ઉલ્લેખ નથી. આમ કામદારોની સ્થિતિમાં કોઈ સુધારો થાય એમ જણાતું નથી.
કેટલું છે ન્યુનતમ વેતન?
આ વર્ષે મિનિસ્ટ્રી ઓફ લેબર હેઠળની કમિટીમાં પોષણયુક્ત આહાર, રહેઠાણ, કપડાં અને બીજી જરૂરિયાતની વસ્તુઓના ખર્ચને ધ્યાને લઈને રાષ્ટ્રીય ન્યૂનતમ વેતન દિવસનું 375 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આમ છતાં સરકારે છેવટે થોડા સમય પછી રાષ્ટ્રીય ન્યુનતમ વેતન ઘટાડીને 178 રૂપિયા નક્કી કર્યું હતું.
આ ઉપરાંત નક્કી કરેલું રાષ્ટ્રીય ન્યુનતમ વેતન રાજ્ય માટે ફક્ત માર્ગદર્શક છે. રાજ્યો આનાથી ઓછું ન્યુનતમ વેતન પણ નક્કી કરી શકે છે. અલબત્ત 2017-18ના અહેવાલ મુજબ દેશના ગ્રામીણ ભાગોમાં કામદારોનું સરેરાશ દૈનિક વેતન આ આંકડા કરતા પણ ઓછું છે.
વેતનનો કાયદો 2019ની મર્યાદાઓ
આ ઉપરાંત Wages Code કાયદો 20થી વધુ કામદારોના સમૂહ માટે જ લાગુ પડે છે. દેશમાં મોટા પ્રમાણમાં કામદારો આ પ્રકારના સમૂહ વગર મજૂરી કરે છે જે આ કાયદામાં ગણાતા નથી. આ કાયદા મુજબની કામદારની વ્યાખ્યા ખુબ પાતળી છે અર્થાત ઘણા કામદારો જેવા કે ઘરેથી કામ કરવા વાળા એટલે કે work at home કરવા વાળા કામદારોની વ્યાખ્યામાં આવતા નથી આથી તેમને આ કાયદા મુજબના લાભો મળતા નથી. આ પ્રકારના ન્યુનતમ વેતનથી ઓછા વેતને કામ કરવા વાળા લોકો જીવન નિર્વાહ માટે અને પોતાના પરિવારનો ખર્ચ ભોગવવા માટેની રકમ મેળવી શકતા નથી અને છેવટે ગુનાખોરી તરફ વળે છે. આ વિષચક્ર ચાલ્યા જ કરે છે.
આ કાયદા પછી માલિકોને પણ તેમના મજૂરોને કરાર વગર રાખવાનું કારણ મળી ગયું છે કેમ કે કરાર વગરના કામદારો આ કાયદાની હેઠળ આવતા નથી.
2018ના Draft Labour Code on Social Security મુજબ સામાજિક સુરક્ષા માટે ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર બંનેને સરખા ગણવામાં આવ્યા હતા જયારે 2019ના Wages Code મુજબ ઓર્ગેનાઇઝડ સેક્ટરની સમાજ સુરક્ષાની જોગવાઈઓમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી પરંતુ ઓર્ગેનાઇઝડ સેક્ટરની સમાજ સુરક્ષા માટે સરકારને નવી યોજનાઓ ઘડવા માટે કહેવામાં આવ્યું છે.
આ તમામ ચર્ચાના અંતે એટલું ચોક્કસ કહી શકાય કે નવા કાયદા મુજબ કામદારોને સારા વેતન માટે પ્રયત્ન ચોક્કસ કરવામાં આવ્યો છે પરંતુ અનઓર્ગેનાઇઝડ સેક્ટરના કામદારોની સ્થિતિમાં આ કાયદાના આવ્યા પછી પણ કોઈ સુધારાને અવકાશ દેખાતો નથી.