કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોના અર્થતંત્રને જોરદાર નુકસાન થયું છે પણ મંદીની પરિસ્થિતિ સૌથી ગંભીર ભારતમાં હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં મંદીની સ્થિતિ વિશ્વમાં સૌથી ગંભીર
વર્ષ 2021-22માં અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાય તેવી શક્યતા
કોરોના મહામારી પહેલા જ અર્થતંત્રને થઈ ગયું હતું નુકસાન
અર્થતંત્ર માટે ખરાબ સમાચાર
અર્થતંત્રના મોરચે ભારત માટે ખૂબ ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાયરસની અસર હજુ ખૂબ લાંબા સમય સુધી રહેશે તેવું દેખાઈ રહ્યું છે. ફિચ રેટિંગ્સે ગુરુવારે કહ્યું કે આવતા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 11 ટકાની આસપાસ રહેશે અને તે બાદ ભારતીય અર્થતંત્ર ફરી સુસ્ત પડી જશે.
કોરોનાએ હાલત બગાડી
ફિચ રેટિંગ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે ભારતમાં મંદી સ્થિતિ દુનિયામાં સૌથી ગંભીર છે અને કડક લોકડાઉનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વેક્સિનથી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાશે?
જોકે એમ પણ કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા હવે સુધરી રહી છે અને આવતા મહિનામાં કોરોના વાયરસની રસીના કારણે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકાશે. રેટિંગ્સના અનુમાન મુજબ 2021-22માં ભારતની અર્થવ્યવસ્થા 11 ટકાની વૃદ્ધિ નોંધાવશે. જોકે ચાલુ વર્ષમાં જીડીપી 9.4% ગગડી જશે. ફિચ રેટિંગ્સ અનુસાર ભારતમાં કોરોના વાયરસનું સંકટ આવ્યું તે પહેલાથી જ અર્થતંત્ર સંકટમાં હતું અને મહામારીના કારણે વધારે નુકસાન થયું. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે દોઢ લાખથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે યુરોપ અને અમેરિકાની સરખામણીમા ભારતનો મૃત્યુદર ખૂબ ઓછો છે પણ અર્થતંત્ર પર જોરદાર અસર જોવા મળી રહી છે. એપ્રિલ-જૂનમાં દેશની અર્થવ્યવસ્થામાં 23.9 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.