દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ બિલિમોરા અને સુરત સ્ટેશનોની વચ્ચે થશે કે જેનું ભાડું એરોપ્લેનના ઇકોનોમી ક્લાસની ટિકિટ બરાબર રહેશે.
બિલિમોરા અને સુરત વચ્ચે થશે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ
350 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ થશે
ભાડું એરોપ્લેનના ઇકોનોમી ક્લાસની ટિકિટના બરાબર જ રહેશે
350 કિમી સ્પીડથી ટ્રાયલ, 320 કિમીની ઝડપથી યાત્રા કરી શકાશે
દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રાયલની ઝડપ એરોપ્લેનના ટેકઓફની સ્પીડ બરાબર હશે. બુધવારના રોજ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ બિલિમોરા અને સુરત સ્ટેશનોની વચ્ચે થશે કે જેની ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે અને આ ઝડપ વિમાનની ઉડાણ ભરવાની ઝડપ બરાબર છે. ગુજરાતમાં આ પ્રકારના ટ્રાયલની શરૂઆત 2026માં થશે અને ત્યાર બાદ બીજા સેક્શનમાં પણ આવું જ ટ્રાયલ કરવામાં આવશે. અલબત્ત જ્યારે બુલેટ ટ્રેન યાત્રીઓને લઇને સંચાલન શરૂ કરશે ત્યારે તેની ઝડપ 320 કિમી પ્રતિ કલાકની જ હશે. એક અધિકારીએ જણાવ્યું કે, 'અમે 350 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ કરીશું, પરંતુ ઓપરેશનલ સ્પીડ 320 કિમી જ રહેશે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ હાઈ-સ્પીડ ડ્રીમ પ્રોજેક્ટનું બાકીનું કામ કઈ સ્થિતિમાં છે અને સૌથી મોટી વાત એ છે કે ભાડું શું હશે. ત્યાર અહીં વિગતે જોઇશું તેની સંપૂર્ણ માહિતી...
મહારાષ્ટ્રમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનના કામમાં ભલે રાજકીય અડચણ આવે, પરંતુ ગુજરાતમાં તેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે તમામ સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે અને સાબરમતીમાં બની રહેલું પેસેન્જર હબ આ વર્ષે ઓગસ્ટમાં તૈયાર થઈ જશે. આ જ કારણ છે કે હવે બુલેટ ટ્રેનના ટ્રાયલની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટ્રાયલ માટે જાપાનીઝ ટેક્નોલોજી પર આધારિત વિશેષ ટ્રેક પર દોડશે ત્યારે તેની સ્પીડ એરોપ્લેનની ટેકઓફની સ્પીડ જેટલી જ હશે.
જાણો કેટલું હશે બુલેટ ટ્રેનનું ભાડું?
એનએચએસઆરસીએલના અધિકારીના જણાવ્યાં અનુસાર, 'તે મુસાફરો માટે ગેમચેન્જર અને હવાઇ યાત્રા માટે હરીફ સાબિત થશે. બુલેટ ટ્રેનોમાં ચેક ઇન ટાઇમ ઓછો રહેશે, સીટોને આગળ-પાછળ કરવા માટે જગ્યા રહેશે અને સૌથી મોટી બાબત તો એ છે કે કનેક્ટિવિટી કે જે વિમાનની અંદર નથી મળી શકતી.' સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ શાનદાર સેવાઓ હોવા છતાં તેનું ભાડું એરોપ્લેનના ઇકોનોમી ક્લાસની ટિકિટના બરાબર જ રહેશે અને ફ્રી-સામાન લઇ જવાની લિમિટ પણ વધારે રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં 99% જમીન સંપાદિત
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા અને ટ્રાયલની તૈયારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તેના કામને ઝડપી બનાવવું શક્ય છે કારણ કે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ રાજ્યમાં પહેલેથી જ એ માટે જરૂરી 99% જમીન હસ્તગત કરી લીધી છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ ટ્રેન જાપાનીઝ ટેક્નોલોજી 'સ્લેબ ટ્રેક સિસ્ટમ' પર આધારિત વિશેષ ટ્રેક પર દોડશે, જે 350 કિમીની ઝડપે ટ્રેન ચલાવવામાં સક્ષમ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના પુલ પણ અત્યાધુનિક બ્રિજ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યાં છે, જેની ડિઝાઇન જાપાન પાસેથી મંગાવવામાં આવી છે.
દર મહિને 200થી 250 થાંભલા કરાઇ રહ્યાં છે તૈયાર
NHSRCL એ બીલીમોરા અને સુરત વચ્ચે દર મહિને જાપાનીઝ ટેક્નોલોજી પર આધારિત 200 થી 250 થાંભલાઓનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટનો સૌથી લાંબો પુલ (1.26 કિમી) નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે, જે તોફાની પવનો અને ભરતીના મોજા સામે ટકી શકશે. આ બ્રિજ 2024ના જુલાઈ સુધીમાં બનાવવામાં આવશે. ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સમગ્ર 352 કિમી રૂટ માટે 100% સિવિલ કોન્ટ્રાક્ટ કામ ભારતીય કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 237 કિમી માટે ટ્રેકનું કામ પણ સોંપવામાં આવ્યું છે અને બાકીના 115 કિમી માટે ટ્રેકનું કામ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. 352 કિલોમીટરના રૂટમાંથી દર 100 મીટરના અંતરે 330 કિલોમીટર માટે વિગતવાર જીઓટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન (GTI) કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને બાંધકામની સુધારણા માટે સારી માનવામાં આવે છે અને તેના આધારે 165 કિમી સુધીનું ડ્રોઇંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
8 સ્ટેશનો પર જુદા-જુદા તબક્કામાં કામ ચાલી રહ્યું છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની બહાર ગુજરાતમાં વાપીથી અમદાવાદના સાબરમતી સુધીના કુલ 8 હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશનો પણ બાંધકામના વિવિધ તબક્કામાં છે. સાબરમતીમાં હાઈ-સ્પીડ રેલ્વે, મેટ્રો, બીઆરટી અને ભારતીય રેલ્વેના બે સ્ટેશનોને એકીકૃત કરવા સાબરમતી ખાતે બનાવવામાં આવી રહેલા પેસેન્જર ટર્મિનલ હબનું કામ આ વર્ષના ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. મુંબઈથી અમદાવાદ સુધીના બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઈ 508.17 કિમી છે, જેમાં ગુજરાતમાં 8 સ્ટેશન અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન બનવાના છે. પ્રવાસીઓ આ સમગ્ર રૂટની મુસાફરી માત્ર 2 કલાક 58 મિનિટમાં પૂર્ણ કરી શકે છે. પરંતુ, મહારાષ્ટ્રમાં બિન-ભાજપ મહા વિકાસ અઘાડી સરકારના કારણે બુલેટ ટ્રેન બનાવવાનું કામ રાજકીય વમળમાં ફસાઈ ગયું છે.