ભારતમાં રસીકરણ ડ્રાઈવ: ભારતે કોરોના વાયરસ સામે રસીકરણમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં એક દિવસમાં રસી આપવામાં આવેલ લોકોની સંખ્યા ઘણા દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ છે.
ભારતમાં કોરોના વેક્સિનેશનને એક વર્ષ પૂર્ણ
અત્યાર સુધીમાં 156 કરોડ ડોઝ અપાયા
હજુ 100 ટકા વેક્સિનેશનથી દૂર છે ભારત
આજે ભારત માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, કોરોના વાયરસ વેક્સિનેશનને આજે એક વર્ષ પૂન થયું છે કારણ કે આજના જ દિવસે ગયા વર્ષે કોરોના વાયરસ સામે સૌથી મોટા હથિયાર તરીકે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તે બાદ દેશમાં અનેક અડચણોની વચ્ચે ઐતિહાસિક ધોરણે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
કેટલા લોકોને અપાઈ રસી
એક વર્ષ પહેલા 138 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોના વેક્સિન કઈ રીતે અપાશે તેને લઈને ખૂબ જ આશંકાઓ હતી. પરંતુ કોરોના સામે લડવામાં કોરોના વેક્સિનની સફળતાથી ઘણો લાભ મળ્યો છે. ભારતમાં કોરોના વેક્સિનના આંકડાઓ અનુસાર 69 ટકા જનતા એટલે કે 65 કરોડ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
તેજીથી ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
થોડા દિવસ પહેલા 15થી 18 વર્ષના 8 કરોડ તરુણો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં સવા ત્રણ કરોડને એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધોને અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
હજુ કરોડો લોકોએ એક પણ ડોઝ નથી લીધો
જોકે ભારત હજુ પોતાના ફાઇનલ ધ્યેયથી ઘણો દૂર છે. ભારતમાં 15 વર્ષથી ઉપરની વસ્તીની સંખ્યા 103 કરોડ છે જેમાં 90 કરોડને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે 65 કરોડને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
કેટલા કેસ નોંધાયા?
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દિવસને દિવસે ઘાતક બની રહી છે. ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે ઓમિક્રૉન વેરિયન્ટના કેસની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઇકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા.
દેશમાં શું છે કોરોના વાયરસની સ્થિતિ?
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખ 50થી વધુ છે જે ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 86 હજાર દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં એક લાખ 38 હજાર દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે. ભારતમાં ઓમિક્રૉન વેરિયન્ટ કેસની સંખ્યા સંખ્યા 7 હજાર 743 પર પહોંચી છે જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીના છે.