રવિવારે ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન ખાતે રમાયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં હાર પામેલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મહિલાઓ માટે આઈ.પી.એલની શરૂઆત કરવાનો આ યોગ્ય સમય છે. મિતાલી રાજે વધુમાં જણાવ્યુ હતુ કે ભારતમાં મહિલા બિગ બેશ લીગની પણ શરૂઆત થવી જોઈએ.
લીગની શરૂઆત થવાથી મહિલા ક્રિકેટરોને રમત દરમિયાન સારો દેખાવ કરવાની તક મળશે અને પોતાની રમતને વધુ સારી બનાવી શકશે. ડબલ્યુબીબીએલમાં મળેલ અનુભવના આધારે મારી ટીમની બે ખેલાડી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કોરનો રમત દરમિયાન થતો દેખાવ સુધાર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલ ફાઇનલ મેચમાં ભારે રસાકસી બાદ ભારતીય મહિલા ટીમનો માત્ર 9 રન સાથે પરાજય થયો હતો પરંતુ ભારતીય ટીમના જોરદાર દેખાવે મેચ જોઈ રહેલા તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા. ભારતીય મહિલા ક્રિકેટરોની આ ગૌરવપ્રદ હારને બી.સી.સી.આઈ દ્વારા વખાણવામાં આવી હતી.
ભારત પરત ફરી રહેલી મહિલા ક્રિકેટ ટીમને સત્કારવા માટે બી.સી.સી.આઈ દ્વારા એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમારંભમાં દરેક મહિલા ખેલાડીને 50લાખનો ચેક તથા સહયોગી સ્ટાફને 25લાખનો ચેક આપી તેમને સન્માનવામાં આવશે.
જોકે આ સમારંભનુ સ્થળ તથા સમયનો અંગે ઉલ્લેખ કરાયો નથી. મહિલા ટીમને ભારતના વડાપ્રધાનશ્રીની શુભેચ્છા મુલાકાત મળી રહે તેવો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં કદાચ મહિલા ક્રિકેટમાં આઇ.પી.એલનું આયોજન થશે તેવુ જાણવા મળ્યુ હતુ.