1.3 મિલિયન ઇમિગ્રન્ટ્સને આમંત્રિત કરવા માંગે કેનેડા
શું તમે કેનેડા સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો આ ન્યૂઝ તમારા માટે જ છે. કેનેડા સરકારે નવો ઇમિગ્રેશન પ્લાન જાહેર કર્યો છે. કેનેડા ઈમિગ્રેશન લેવલ પ્લાન 2022-2024માં કેનેડા સરકારે ઈમિગ્રેશન ટાર્ગેટ વધાર્યો છે. કોવિડ-19 રોગચાળાને કારણે અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને દૂર કરવા અને કામદારોની તીવ્ર અછતને પહોંચી વળવા માટે આ કરવામાં આવ્યું છે. કેનેડા આગામી ત્રણ વર્ષમાં લગભગ 1.3 મિલિયન ઇમિગ્રન્ટ્સને આમંત્રિત કરવા માંગે છે. આ 2024 માં તેની કુલ વસ્તીના 1.14 ટકા હશે.
ભારતીયોને ફાયદો
2015 સુધીમાં, દર વર્ષે કેનેડામાં લગભગ 2.5 મિલિયન ઇમિગ્રન્ટ્સ હતા. કેનેડાની સરકારે 2016માં આ ક્વોટા વધારીને 3 લાખ કર્યો હતો. કોરોના મહામારી પહેલા સરકારે 3 લાખ 40 હજાર ઈમિગ્રન્ટ્સને કેનેડા આવવાની મંજૂરી આપી હતી, પરંતુ 2020માં કોરોનાને કારણે આ સંખ્યા ઘટીને 2 લાખથી પણ ઓછી થઈ ગઈ હતી. વર્ષ 2021માં કેનેડામાં 405,000 થી વધુ લોકોને કાયમી નાગરિકતા આપવામાં આવી હતી. કેનેડા દ્વારા એક વર્ષમાં આપવામાં આવેલી આ સૌથી વધુ નાગરિકતા હતી. કોવિડ-19ને કારણે કેનેડામાં લગભગ 1.8 મિલિયન વિઝા અથવા નાગરિકતા અરજીઓ પેન્ડિંગ છે.
કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝન્સ મંત્રી સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે 2022-2024 ઇમિગ્રેશન લેવલ પ્લાન દેશને વિશ્વમાં શ્રેષ્ઠ પ્રતિભા સ્થળ બનાવશે, જે રોગચાળા પછી મજબૂત આર્થિક વૃદ્ધિનો પાયો નાખવામાં મદદરુપ થશે. સાથે જ આ પ્લાન પરિવારોને ફરીથી જોડવામાં અને માનવતા પ્રત્યે કેનેડાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવામાં પણ મદદ કરશે. 2022 માં કેનેડામાં લગભગ 56 ટકા ઇમિગ્રન્ટ્સ એક્સપ્રેસ એન્ટ્રી, પ્રાંતીય નોમિની પ્રોગ્રામ અને ટેમ્પરરી ટુ પરમેનન્ટ રેસિડન્સ (TR2PR) સ્ટ્રીમ જેવા આર્થિક વર્ગના માર્ગો દ્વારા આવ્યા હતા. શૉન ફ્રેઝર કહે છે કે કેનેડામાં આવતા ઈમિગ્રન્ટ્સનો દેશની પ્રગતિમાં ઘણો મોટો ફાળો છે. આજે જે કેનેડા છે તે તેમના કારણે જ છે.
કેનેડા ઇમિગ્રન્ટ્સ પર નિર્ભર છે
ફ્રેઝર કહે છે કે કેનેડા ખેતી, માછીમારી, ઉત્પાદન, આરોગ્ય અને પરિવહન ક્ષેત્રે ઇમિગ્રન્ટ્સ પર નિર્ભર છે. સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસો કરી રહી છે અને આ પ્રયાસો સ્થળાંતર કરનારાઓની મદદથી જ પૂર્ણ થઈ શકે છે. ફ્રેઝરે કહ્યું કે અમારી ઇમિગ્રેશન લેવલની યોજના કેનેડાના વિકાસ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.